અમરેલી જિલ્લામાં ગેરકાયદેસર અનાજના જથ્થા સામે તંત્ર દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. વડીયા મામલતદારની ટીમે ગાયત્રીચોક વિસ્તારમાં આવેલા એક ખાનગી ગોડાઉનમાંથી બિનઅધિકૃત રીતે સંગ્રહ કરાયેલો ઘઉં અને ચોખાનો જથ્થો જપ્ત કર્યો છે. ગોડાઉનના માલિક અમન મન્સૂરીભાઈ આદમાણી પાસેથી અનાજના જથ્થા અંગે બિલ કે અન્ય કોઈ પુરાવા માંગવામાં આવ્યા હતા. પરંતુ તેઓ કોઈ પુરાવા રજૂ કરી શક્યા ન હતા. આ કારણે મામલતદારે રૂૂ. 1,17,585ની કિંમતનો અનાજનો જથ્થો સીઝ કર્યો છે.
તંત્ર દ્વારા આ મામલે ઊંડાણપૂર્વક તપાસ શરૂૂ કરવામાં આવી છે. તપાસમાં અન્ય કોઈ વ્યક્તિઓની સંડોવણી છે કે કેમ, આ જથ્થો સરકારી રેશનિંગની દુકાનનો છે કે કેમ અને ક્યાંથી એકત્ર કરવામાં આવ્યો છે તે દિશામાં તપાસ ચાલી રહી છે. જિલ્લા પુરવઠા વિભાગને આ અંગે જાણ કરવામાં આવી છે અને તેમની ટીમ પણ તપાસમાં જોડાઈ છે.
