વિદેશ મંત્રી એસ. જયશંકરે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ વચ્ચે હોર્મુઝની સામુદ્રધુનમાંથી ભારતીય જહાજોના પસાર થવા અંગે અત્યંત મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે ઈરાન સાથે ભારતીય જહાજો માટે કોઈ સામાન્ય કે સામૂહિક સમજૂતી(General or Blanket Arrangement)ં કરવામાં આવી નથી. આ ક્ષેત્રમાંથી પસાર થતા દરેક ભારતીય જહાજની અવરજવરને એક અલગ અને વ્યક્તિગત ઘટના તરીકે જોવામાં આવે છે.
અગાઉ એવા અહેવાલો વહેતા થયા હતા કે ભારત અને ઈરાન વચ્ચેના મૈત્રીપૂર્ણ સંબંધોને કારણે તમામ ભારતીય જહાજોને હોર્મુઝની સામુદ્રધુનીમાંથી મુક્તપણે પસાર થવા દેવામાં આવશે. જોકે, એસ. જયશંકરના નિવેદને આ અટકળો પર વિરામ મૂક્યો છે. વિદેશ મંત્રીએ જણાવ્યું કે, હોર્મુઝમાંથી પસાર થવા માટે દરેક જહાજે વ્યક્તિગત ધોરણે મંજૂરી મેળવવી પડે છે. આનો અર્થ એ થયો કે ભારત અને ઈરાન વચ્ચેની રાજદ્વારી વાતચીત દરેક જહાજ માટે અલગથી કામ કરે છે અને તે કોઈ કાયમી છૂટછાટ નથી.
વિદેશ મંત્રીએ સ્વીકાર્યું હતું કે ઈરાન સાથેની સીધી વાતચીત અને સંકલનથી અત્યાર સુધી સારા પરિણામો મળ્યા છે. તાજેતરમાં જ શિવાલિક અને નંદા દેવી જેવા ભારતીય ધ્વજ ધરાવતા એલપીજી ટેન્કરોને સુરક્ષિત માર્ગ મળ્યો છે. તેમણે ઉમેર્યું કે, “ભારતના દ્રષ્ટિકોણથી કોઈ ઉકેલ ન મળવા કરતા વાતચીત દ્વારા રસ્તો કાઢવો વધુ યોગ્ય છે.” ભારત હાલમાં પણ તેહરાન સાથે સંપર્કમાં છે જેથી આ મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગ પરથી ભારતીય જહાજોની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય.
