જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના પડાણા ગામમાં રહેતી ગંગાબેન અશોકભાઈ પરમાર નામની 35 વર્ષની પરણીતાએ પોતાના ઉપર હુમલો કરી ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે પોતાના જ પતિ અશોક આલાભાઇ પરમાર સામે મેઘપર પડાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
પત્ની ગંગાબેનને ગઈકાલે જમવામાં દાળ-ભાત બનાવ્યા હતા, જે રસોઈ બનાવવા બાબતે પોતાના પતિ અશોક પરમાર સાથે જીભા જોડી થઈ હતી. પતિને દાળભાત ખાવા પસંદ ન હોવાથી ઉશ્કેરાયો હતો, અને ઉગ્ર બોલા ચાલી થયા પછી પત્ની ગંગાબેન ને ગાળો ભાંડી હતી, અને પોતાની પત્નીને ધોકાવી નાખી હતી. જેથી મામલો મેઘપર પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને પતિ સામે પોલીસે ગુનો નોધ્યો છે. એ.એસ.આઇ વી.સી. જાડેજા વધુ તપાસ ચલાવી રહ્યા છે.
