દિલ્હીના આદર્શ નગર વિસ્તારમાં એક ઘરમાં ભયાનક આગ લાગી હતી. આ આગમાં ત્રણ લોકો જીવતાં ભુંજાયા હતાં. ફાયર વિભાગે ઘટનાસ્થળેથી ત્રણ મૃતદેહ બહાર કાઢ્યા હતા. મજલિસ પાર્ક મેટ્રો સ્ટેશન નજીક આવેલા DMRC ક્વાર્ટરમાં આગ લાગી હતી. આગમાં પતિ, પત્ની અને તેમના બાળકનું મોત નીપજ્યું હતું.
ફાયર વિભાગના જણાવ્યા અનુસાર, તેમને DMRC ક્વાર્ટરમાં ઘરવખરીના સામાનમાં આગ લાગી હોવાનો ફોન સવારે 2:39 વાગ્યે આવ્યો હતો. આગ ઓલવવા માટે તાત્કાલિક છ ફાયર એન્જિન ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા. આગ ક્વાર્ટરના પાંચમા માળે લાગી હોવાનું કહેવાય છે. જ્યારે ફાયર ફાઇટર પહોંચ્યા ત્યારે તેમને ત્રણ લોકોના મૃતદેહ બળીને ખાખ થયેલા જોવા મળ્યા.
મૃતકોની ઓળખ અજય (42), નીલમ (38) અને જ્હાન્વી (10) તરીકે થઈ છે. પોલીસે મૃતદેહોનો કબજો લઈ તપાસ શરૂ કરી છે.
