જામનગર પંથકમાં અકસ્માતોની હારમાળા યથાવત રહી છે, અને હિટ એન્ડ રનનો વધુ એક બનાવ બન્યો છે, જેમાં માનવ જિંદગી છીનવાઈ છે. જામનગરમાં ખોજાગેઇટ વિસ્તારમાં રહેતા 65 વર્ષના બુઝુર્ગ મસીતીયામાં રહેતી પોતાની પુત્રીને મળવા જઈ રહ્યા હતા, જે દરમિયાન ચેલા ગામ પાસે પૂરપાટ ઝડપે આવી રહેલી એક્સ.યુ.વી. કારના ચાલકે પાછળથી ઠોકર મારી મૃત્યુ નીપજાવ્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઈ છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં ખોજા ગેઇટ વિસ્તારમાં રહેતા સુલેમાનભાઈ ઇબ્રાહીમભાઇ આમરોણીયા નામના 65 વર્ષીય બુઝુર્ગ કે જેઓ ગઈકાલે બપોરે 4.00-વાગ્યાના અરસામાં મસીતિયા ગામે પરણાવેલી પોતાની પુત્રીને મળવા માટે પોતાનું બાઈક લઈને જઈ રહ્યા હતા, જે દરમિયાન પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલી જીજે 37 એમ 8381 નંબરની એક્સ યુવી કારના ચાલાકે બાઈકને ઠોક કરે ચડાવી સુલેમાન ભાઈ ને કચડી નાખતાં ગંભીર ઇજા થવાથી તેઓનું સ્થળ પર જ કરુણ મૃત્યુ નિપજ્યું છે.
આ અકસ્માત બાદ કાર ચાલક પોતાનું વાહન સ્થળ પર છોડીને ભાગી છૂટ્યો હતો. આથી મૃતક સુલેમાનભાઈ ના પુત્ર હનીફભાઈ સુલેમાનભાઈ એ જામનગરના પંચકોશી બી. ડિવિઝન પોલીસ મથકમાં મહેન્દ્રા કંપનીની કાર નંબર જી. .જે. એમ. 8381 ના ચાલક સામે પોતાના પિતાનું મૃત્યુ નિપજાવવા અંગેની ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
