રાજકોટ-જામનગર હાઇવે જાણે ગોઝારો બન્યો હોય તેમ અવાર નવાર જીવલેણ અકસ્માતો સર્જાય રહયા હોવાની ઘટના પ્રકાશમા આવી રહી છે ત્યારે વધુ એક બનાવમા રાજકોટમા રૈયા રોડ પર આવેલા જે. કે. ચોકમા રહેતા વૃધ્ધ બે દિવસ પુર્વે પોતાનુ બાઇક લઇને ધ્રોલ નજીક આવેલા જલારામ બાપાનાં મંદિરે દર્શન કરવા જતા હતા ત્યારે અજાણ્યા કાર ચાલકે બાઇકને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમા ગંભીર રીતે ઘવાયેલા વૃધ્ધે સારવારમા દમ તોડતા પરીવારમા શોકની લાગણી પ્રસરી છે.
આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટમા રૈયા રોડ 5ર આવેલા જે. કે. પાર્કમાં રહેતાં પ્રવિણભાઇ કલ્યાણજીભાઇ વિઠલાપરા નામના ઉ.વ.66 વર્ષનાં વૃધ્ધ ગત તા. 23 ના રોજ સાંજનાં છએક વાગ્યાનાં અરસામા પોતાનું એક્ટીવા હંકારી ધ્રોલ નજીક પસાર થઇ રહયા હતા ત્યારે અજાણી કારના ચાલકે વૃધ્ધના સ્કુટરને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો જેમા ગંભીર રીતે ઘવાયેલા પ્રવીણભાઇ વિઠલાપરાને તાત્કાલીક સારવાર માટે જામનગર ખસેડવામા આવ્યા હતા જયા તેમની તબીયત નાજુક જણાતા વધુ સારવાર માટે રાજકોટ હોસ્પીટલ ખાતે દાખલ કરવામા આવ્યા હતા. જયા ટુકી સારવાર દરમ્યાન વૃધ્ધે હોસ્પીટલનાં બીછાને દમ તોડી દેતા પરીવારમા અરેરાટી સાથે ગમગીની છવાઇ જવા પામી હતી.
પ્રાથમીક પુછપરછમા મૃતક પ્રવીણભાઇ વિઠલાપરા ધ્રોલ નજીક આવેલા જલારામ બાપાના મંદિરે દર્શન કરવા જઇ રહ્યા હતાં ત્યારે ધ્રોલ નજીક કોઇ કારના ચાલકે ઠોકરે ચડાવતા જીવલેણ અકસ્માત સર્જાયો હોવાનુ જાણવા મળ્યુ છે આ બનાવ અંગે પોલીસે નોંધ કરી અકસ્માત સર્જનાર કાર ચાલક વિરુધ્ધ ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.
