હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હયો તેમ વધુ ત્રણ લોકોના શ્વાસ થંભી ગયા હોવાની ઘટના સામે આવી છે. જેમાં રૂૂખડીયાપરામાં પરિણીતા, રૂૂષીપ્રસાદ સોસાયટીમાં પ્રૌઢ અને જંગલેશ્વરમાં આધેડનું મોત નીપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રૂૂખડીયાપરામાં રહતી ઉષાબેન દિનેશભાઇ જેઠવા નામની 38 વર્ષની પરિણીતા પોતાના ઘરે હતી. ત્યારે હદયરોગનો હુમલો આવતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જ્યાં તેણીનું મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. પ્રાથમિક પૂછપરછમાં મૃતક ઉષાબેન જેઠવાને સંતાનમાં ત્રણ પુત્રી હોવાનું જાણવા મળ્યું છે.
બીજા બનાવમાં કોઠારીયા રોડ ઉપર આવેલ રૂૂષિપ્રસાદ સોસાયટીમાં રહેતા અશોકભાઈ ઉંમરભાઈ વાઢેર ગામના 47 વર્ષના પ્રૌઢ રાત્રીના નવેક વાગ્યાના અરસામાં ઘરે હતા ત્યારે બેભાન હાલતમાં ઢળી પડ્યા હતા. પ્રૌઢને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી પ્રૌઢનું હદયરોગના હુમલાથી મોત નીપજ્યું હોવાનું જાહેર કરતાં પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી. આ ઉપરાંત ત્રીજા બનાવમાં જંગલેશ્વરમાં રહેતા જલીબભાઈ નામના 48 વર્ષના આધેડ દસેક વાગ્યાના અરસામાં ઘરે હતા ત્યારે હદયરોગનો હુમલો આવતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમની સારવાર કારગત નીવડે તે પૂર્વે જ પ્રાણ પંખીડું ઉડી જતા પરિવારમાં માતમ છવાયો હતો. ઉપરોક્ત બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
