શિવસાગર સોસાયટીની પરિણીતા અને ભગવતીપરાના આધેડે દમ તોડ્યો
હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ વધુ બે લોકોના શ્વાસ થંભી ગયા છે. જેમાં શિવસાગર સોસાયટીમાં પરિણીતા અને ભગવતીપરામાં આધેડનું હાર્ટ એટેકથી મોત નિપજતા બંને પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ શહેરમાં કોઠારીયા વિસ્તારમાં આવેલી શિવસાગર સોસાયટીમાં રહતી જોશનાબેન સુરેશભાઈ કોટીલા નામની 40 વર્ષની પરિણીતા પોતાના ઘરે હતી. ત્યારે બેભાન હાલતમાં ઢળી પડતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી પરિણીતનું હદયરોગના હુમલાથી મોત નીપજ્યું હોવાનું જાહેર કરતા પરિવાર શોકમા ગરકાવ થઈ ગયો હતો. મૃતક પરિણીતાને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી હોવાનું જાણવા મળ્યું છે.
આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં થોરાળા વિસ્તારમાં આવેલા ક્રિષ્ના પાર્કમાં રહેતા રતનબેન અરવિંદભાઈ ખંડલી નામના 48 વર્ષના પ્રોઢા પોતાના ઘરે હતા ત્યારે હૃદયરોગનો હુમલો આવતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમની સારવાર કારગત નીવડે તે પૂર્વે જ હોસ્પિટલના બિછાને દમ તોડી દેતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
મૃતક પ્રોઢાને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે. આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં ભગવતીપરામાં રહેતા કાંતિભાઈ મગનભાઈ મૂલીયા નામના 59 વર્ષના આધેડ બેભાન હાલતમાં ઢળી પડ્યા હતા. આધેડને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ ફરજ પરના તબીબે જોઈ તપાસી આધેડનું હદય રોગના હમલાથી મોત નીપજ્યું હોવાનું જાહેર કરતાં પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી. પ્રાથમિક પૂછપરછમાં મૃતક આધેડ પાંચ ભાઈ ચાર બહેનમાં વચ્ચેટ હતા અને તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. ઉપરોક્ત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
