રાજકોટ સહિત રાજ્યભરમાં કાળઝાળ ગરમી વચ્ચે હૃદયરોગના હુમલાના બનાવો વધી રહ્યાં છે ત્યારે શહેરમાં હાર્ટએટેકથી વધુ એક પ્રૌઢનું મોત નિપજ્યું હતું. શહેરની ભાગોળે આજી ડેમ ચોકડી નજીક માંડાડુંગરમાં રહેતાં પ્રૌઢને હાર્ટએટેક આવી જતાં જીવ ગુમાવ્યો હતો.
જાણવા મળતી વિગત મુજબ, આજી ડેમ ચોકડી નજીક આવેલા માંડાડુંગર શેરી નં.3માં રહેતા રામફેર બાબુરામ ગૌતમ (ઉ.57) નામા પ્રૌઢ આજે સવારે પોતાના ઘરે હતાં ત્યારે અચાનક બેભાન થઈ ઢળી પડતાં તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેમની ફરજ પરના તબીબે જોઈ તપાસી મરણ ગયાનું જાહેર કર્યુ હતું. મૃતક એક ભાઈ બે બહેનમાં મોટા અને કારખાનામાં કામ કરતાં હતાં તેમને સંતાનમાં છ દીકરી હોવાનું જાણવા મળ્યું છે. તબીબો દ્વારા હાર્ટએટેક આવી જતાં મોત થયાનું જણાવ્યું હતું.
ટી.બી.ની બિમારીથી પ્રૌઢનું મૃત્યુ
કોઠારીયા સોલવન્ટમાં નરૂરાની ચોક પાસે રહેતા નુરમહમદ હુસેનભાઈ કેડા (ઉ.59) નામના પ્રૌઢ આજે વહેલી સવારે પોતાના ઘરે બેભાન થઈ જતાં તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેમનું ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. પ્રાથમિક તપાસમાં મૃતક ચાર ભાઈ એક બહેનમાં વચેટ અને તેમને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. તેમને ટી.બી.ની બિમારી હોય જેના કારણે મોત થયાનું ખુલવા પામ્યું છે.
