રાજકોટ સહિત રાજ્યભરમાં હાર્ટએટેકના બનાવો વધી રહ્યાં છે ત્યારે શહેરમાં હૃદય રોગના હુમલાથી વધુ એક મોત નિપજ્યું છે. મવડી ગામે પાળ રોડ પર રહેતા આધેડને હૃદયરોગનો હુમલો જીવલેણ નિવડયો હતો.
જાણવા મળતી વિગત મુજબ, મવડી ગામે પાળ રોડ પર રામધણ આશ્રમ પાસે રહેતાં ભીખાભાઈ બીજલભાઈ ચાવડા (ઉ.55) નામના આધેડ ગઈકાલે રાત્રે પોતાના ઘરે હતા ત્યારે અચાનક બેભાન થઈ ઢળી પડતાં તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી હાર્ટએટેકથી મોત થયાનું જાહેર કર્યુ હતું. આ અંગે તાલુકા પોલીસે જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમમાં ખસેડયો હતો. પ્રાથમિક તપાસમાં મૃતક ભીખાભાઈ બે ભાઈ બે બહેનમાં વચેટ અને પ્લમ્બરનું કામ કરતાં હતાં. તેમને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી હોવાનું જાણવા મળ્યું છે.
જ્યારે બીજા બનાવમાં સાધુવાસવાણી રોડ પર ગોપાલ ચોકમાં આવેલા આર.એમ.સી.કવાર્ટરમાં રહેતો સુરેશ પદમસિંહ આલજી (ઉ.40) નામનો નેપાળી યુવાન પોતાના ઘરે બેભાન થઈ જતાં તેનું મોત નિપજ્યું હતું. પ્રાથમિક તપાસમાં મૃતકને થોડા દિવસ પહેલા મગજનું ઓપરેશન કરાવ્યું હોય અને પેરેલીસીસનો હુમલો આવી ગયાનું જાણવા મળ્યું છે.
