પવિત્ર અમરનાથ યાત્રાએ જનારા શ્રદ્ધાળુઓ માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. રાજકોટની મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા અમરનાથ યાત્રિકો માટેના મેડિકલ ચેકઅપની કામગીરી આજથી શરૂૂ કરી દેવામાં આવી છે. ખાસ વાત એ છે કે, ગુજરાત મિરરના અહેવાલ બાદ હોસ્પિટલ તંત્રએ ઉપરથી કોઈ સત્તાવાર પરિપત્ર આવે તેની રાહ જોયા વગર જ પ્રજાહિતમાં આ નિર્ણય લીધો છે. ગઈકાલે અમરનાથ યાત્રા માટેના રજિસ્ટ્રેશનની પ્રક્રિયા માટે મેડિકલ સર્ટિફિકેટ મેળવવા માટે યાત્રિકો મુશ્કેલી અનુભવી રહ્યા હતા. આ મુદ્દે ’ગુજરાત મિરર’ દ્વારા વિગતવાર અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો, જેમાં તંત્રની ઢીલી નીતિ અને યાત્રિકોની હાલાકીને વાચા આપવામાં આવી હતી.
આ અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ હોસ્પિટલ તંત્ર તાત્કાલિક જાગ્યું હતું અને સંવેદનશીલ નિર્ણય લીધો હતો. હોસ્પિટલ સત્તાધીશોના જણાવ્યા અનુસાર, યાત્રિકોને કોઈ તકલીફ ન પડે તે માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. યાત્રા માટે જરૂૂરી હેલ્થ સર્ટિફિકેટ આપવા માટે નિષ્ણાત તબીબોની ટીમ તૈનાત કરવામાં આવી છે. યાત્રિકોએ નિર્ધારિત ફોર્મ ભરીને જરૂૂરી તપાસ કરાવી લેવાની રહેશે, ત્યારબાદ તેમને સર્ટિફિકેટ કાઢી આપવામાં આવશે.
વર્ષોથી અમરનાથ યાત્રાએ જતાં શ્રદ્ધાળુઓએ તંત્રના આ ઝડપી નિર્ણયને આવકાર્યો છે. અત્યાર સુધી પરિપત્ર ન હોવાને કારણે કામગીરી અટવાયેલી હતી, પરંતુ હવે ચેકઅપ શરૂૂ થતાં યાત્રિકો સમયસર પોતાનું રજિસ્ટ્રેશન કરાવી શકશે. ’ગુજરાત મિરર’ ના અહેવાલને કારણે તેમની રજૂઆતનો સુખદ અંત આવ્યો હોવાનું યાત્રિકોએ જણાવ્યું હતુ.
