ભંગાર વેર-વિખેર કરવા બાબતે થયેલી માથાકૂટમાં બન્ને પરિવારો વચ્ચે જાહેરમાં છરીથી હુમલો
ગોંડલમાં સરકારી હોસ્પિટલ પાસે ભંગાર વેર-વિખેર કરવા મુદ્દે બે પરિવાર વચ્ચે જાહેરમાં છરી અને લોખંડના સળીયા વડે મારામારી થઈ હતી. બન્ને પક્ષે સામસામે થયેલા હુમલામાં આઠ જેટલા લોકોને ઈજા પહોંચતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, ગોંડલમાં સરકારી હોસ્પિટલ પાસે રહેતાં અને ભંગારની ફેરી કરતાં ભનાભાઈ કાનાભાઈ સોલંકી (ઉ.40) અને શાકભાજીનો ધંધો કરતી તેની પુત્રી કોમલબેન વિજયભાઈ ડાભી (ઉ.23) બપોરના અરસામાં પોતાના ઘર પાસે હતા ત્યારે પરેશ બાવાજી તેની પત્ની સોનુબેન પરેશભાઈનો સાળો સંજય, વીરૂ અને સંજયભાઈનો પુત્ર મંગલ અને તુલસી સહિતનાએ ઝઘડો કરી છરી, ધોકા અને પાઈપ વડે માર માર્યો હતો.
જ્યારે વળતા પ્રહારમાં વિરૂ ધીરૂભાઈ વાઘેલા ઉપર રોહિત કાના સોલંકી, કાના રાઘવ સોલંકી, કોમલબેન કાનાભાઈ સોલંકી અને કોમલના પતિ વિજય ઉર્ફે ગોદીએ ઝઘડો કરી માર માર્યો હતો. મારામારીમાં ઘવાયેલા આઠ જેટલા ઈજાગ્રસ્તોને સારવાર માટે ગોંડલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. જેમાં ગંભીર રીતે ઘવાયેલા કોમલબેન ડાભી અને ભનાભાઈ સોલંકીને તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતાં.
આ અંગે ગોંડલ પોલીસે સરાજાહેર મારામારી કરનાર બન્ને પરિવારના શખ્સો વિરૂધ્ધ સામસામી ફરિયાદ નોંધી છે. જેમાં બન્ને પરિવારે નોંધાવેલી ફરિયાદમાં ભંગાર વેર-વિખેર કરવા મુદ્દે થયેલી બોલાચાલીમાં બન્ને પરિવારે ઉશ્કેરાય જઈ છરી, ધોકા જેવા હથિયાર વડે જાહેરમાં મારામારી કર્યાનું સામે આવ્યું છે. પોલીસે જાહેરમાં મારમારી કરનાર બન્ને પક્ષના શખ્સો વિરૂધ્ધ ફરિયાદ નોંધી કાનુની તપાસનો દૌર લંબાવ્યો છે.
