ખંભાળિયાના રામનગર વિસ્તારમાં ત્રણ દિવસ પૂર્વે એક યુવાનની ઘાતક હત્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો. આ પ્રકરણમાં પોલીસે આરોપી એવા પિતા તેમજ તેમની બે પુત્રીઓની અટકાયત કરી, આજરોજ ત્રણ દિવસના રિમાન્ડ પર લીધા છે.
ખંભાળિયા પંથકમાં ચકચારી બની ગયેલા આ પ્રકરણની વિગત મુજબ ખંભાળિયા નજીક રામનગર વિસ્તારમાં ગુંદમોરા સીમ ખાતે રહેતા જશવંતભાઈ અશ્વિનભાઈ ચોપડા નામના 25 વર્ષના સતવારા યુવાનને તેમના કુટુંબી મોટા બાપુ રવજીભાઈ ભાણાભાઈ ચોપડા તથા તેમની બે પુત્રીઓ કિરણબેન રવજીભાઈ અને કાજલબેન રવજીભાઈ ચોપડા દ્વારા કોઈ કારણોસર તીક્ષ્ણ હથિયારો વડે બેફામ માર મારી, માથાના ભાગે જીવલેણ ઈજાઓ પહોંચાડી, હત્યા નીપજાવવા બાબતે મૃતકના પિતા દ્વારા આરોપી રવજીભાઈ અને તેમની બંને પુત્રીઓ સામે ખંભાળિયા પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવી હતી.
આને અનુલક્ષીને તપાસનીસ ઈન્ચાર્જ પી.આઈ. એન.એચ. જોશી તેમજ તેમની ટીમ દ્વારા આરોપી પિતા-પુત્રીઓની અટકાયત કરી લેવામાં આવી હતી. ઝડપાયેલા આ ત્રણેય આરોપીઓને આજરોજ અહીંની અદાલતમાં રજૂ કરી, વિવિધ મુદ્દે ત્રણ દિવસની દિવસના રિમાન્ડની માંગણી કરતા અદાલત ત્રણેયના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
