ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના રંઘોળા ગામે એક ખેતમજૂરની દોરી વડે ગળું દબાવી હત્યા કરવામાં આવી હતી. અંગત અદાવતમાં માસીના દીકરાએ જ બે અજાણ્યા શખ્સો સાથે મળી પથ્થરમારો અને લાકડી વડે હુમલો કર્યા બાદ યુવાનને મોતને ઘાટ ઉતાર્યો હતો.ખૂનના આ બનાવની વિગતો મુજબ મૂળ પંચમહાલ જિલ્લાના અને હાલ ભાવનગર જિલ્લા ના રંઘોળા ગામે મયાભાઈ પેથાભાઈ કુવાડિયાની વાડીમાં ખેતમજૂરી કરતા કૈલાશબેન ચીમનભાઈ નાયકે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ અનુસાર, ત્રણ મહિના પહેલા તેમના પતિ ચીમનભાઈ નાયક એ વતનમાંથી મજૂરી કામ માટે કેટલાક લોકોને બોલાવ્યા હતા. જેમાં તેમના માસીનો દીકરો દિલીપ લખમણભાઈ નાયક અને તેની પહેલી પત્ની સવિતા પણ આવ્યા હતા.
દિલીપને તેની પત્ની સવિતા અહીં મજૂરી કામ માટે આવે તે પસંદ નહોતું, જેના કારણે તે અવારનવાર ચીમનભાઈ સાથે ઝઘડો કરતો હતો અને ફોન પર જાનથી મારી નાખવાની ધમકીઓ આપતો હતો. બપોરે આરોપી દિલીપે વાડીએ આવીને ચીમનભાઈને ગાળો આપી હતી અને રાત્રે જોઈ લેવાની ધમકી આપી હતી. ત્યારબાદ મોડી રાત્રે જ્યારે દંપતી વાડીમાં એરંડા ખંખેરી રહ્યા હતા, ત્યારે દિલીપ અને બે અજાણ્યા શખ્સોએ અચાનક પથ્થરમારો શરૂૂ કર્યો હતો. લાકડીઓ સાથે ધસી આવેલા હુમલાખોરોથી બચવા દંપતી અલગ-અલગ દિશામાં ભાગ્યું હતું.કૈલાશબેન નજીકની વાડીમાં છુપાઈ ગયા હતા, જ્યારે આરોપીઓ ચીમનભાઈની પાછળ દોડ્યા હતા. સવારે ચીમનભાઈ ભુતીયા ગામની સીમમાં બેભાન હાલતમાં મળી આવ્યા હતા.
તેમને તાત્કાલિક 108 મારફતે સિહોર સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. પ્રાથમિક તપાસમાં તેમનું મોત દોરી વડે ગળું દબાવવાના કારણે થયું હોવાનું બહાર આવ્યું છે.બનાવ અંગે ઉમરાળા પોલીસે મુખ્ય આરોપી દિલીપ લખમણભાઈ નાયક સહિત ત્રણ શખ્સો સામે આઈ.પી.સી.ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.
