જંગલેશ્ર્વરમાં ગરમ પાણીની તપેલી માથે પડતા બાળકી દાઝી
શહેરના કાલાવડ રોડ પર રહેતા પ્રૌઢ સિવિલ હોસ્પિટલમાં બિમારીની સારવાર માટે આવ્યા હતા. દરમિયાન ચાર દિવસ પહેલા સિવિલ હોસ્પિટલમાં બીજા માળે પગથીયા પરથી ગબડી પડતા સારવાર દરમિયાન તેમનુ મોત નીપજ્યુ હતું.
જાણવા મળતી વિગત મુજબ કાલાવડ રોડ પર વિવેકાનંદ સોસાયટીમાં રહેતા નવીનભાઇ ગોવિંદભાઇ ચૌહાણ (ઉ.વ.59)નામના પ્રૌઢ સિવિલ હોસ્પિટલમાં બિમારીની સારવાર માટે આવ્યા હતા. દરમિયાન ગત તા.23ના સાંજના સમયે તેઓ ઓપીડી બિલ્ડિંગમાં બીજા માળેથી ઉતરતા હતા ત્યારે પગથીયા પરથી ગબડી પડતા તેમને ઇજા થતા સારવાર માટે સર્જરી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા.
જેમનુ ચાલુ સારવાર દરમિયાન ગત રાત્રે મોત નીપજ્યુ હતું. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે રિટ્રોગેટ એમએલસી જાહેર કરી પ્ર.નગર પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલે દોડી જઇ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં મૃતક નવીનભાઇ ત્રણ ભાઇ ત્રણ બહેનમાં નાના અને તેમને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી હોવાનુ જાણવા મળ્યુ છે.
જયારે બીજા બનાવમાં જંગલેશ્ર્વરમાં ન્યુ સાગર સોસાયટી શેરી નં.9માં રહેતી પલકનાઝ શબીરભાઇ આરબ (ઉ.વ.10) નામની બાળકી ગત તા.24ના સાંજે પોતાના ઘરે હતી ત્યારે ગરમ પાણી ભરેલી તપેલી માથે પડતા શરીરે ગંભીર રીતે દાઝી જતા તેણીને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.
