રાજ્યભરમાં રખડતાં ઢોર હાઈકોર્ટ દ્વારા સરકારને ફટકાર લગાવવામાં આવતાં સરકાર રખડતાં ઢોર અંગે કડક નિયમો બનાવવામાં આવ્યા છે. જો આમ છતાં રખડતાં ઢોરનો ત્રાસ યથાવત હોય તેમ અવાર નવાર નિર્દોષ વાહન ચાલકો રખડતાં ઢોરનો ભોગ બની રહ્યાં છે. આવા જ એક વધુ બનાવમાં રાજકોટનાં વૃધ્ધ બાઈક લઈ લૌકીકે જતાં હતાં ત્યારે કાલાવડના જસાપર નજીક ખુંટીયો બાઈક સાથે અથડાતાં વૃધ્ધ ગંભીર રીતે ઘવાયા હતાં. જેમનું સારવાર દરમિયાન મોત નિપજતાં પરિવારમાં શોકની લાગણી છવાઈ જવા પામી છે.
રામનાથપરા મેઈન રોડ પર ઘાંચીવાડમાં શાલીમાર એર્પાટમેન્ટમાં રહેતા ફજલભાઈ હામીદભાઈ ગાંગનાણી (ઉ.61) નામના વૃધ્ધ ગત તા.3નાં સવારે બાઈક લઈ કાલાવડ ગામે લૌકીકના કામે જવા નીકળયા હતાં. દરમિયાન જસાપર ગામ પાસે પહોંચતાં ખુંટીયો આડો ઉતરતા બાઈક સાથે ભટકાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં વૃધ્ધને ગંભીર ઈજા થતાં સારવાર માટે પ્રથમ કાલાવડ બાદ વધુ સારવાર માટે રાજકોટ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. આ અંગે એ ડીવીઝન પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં મૃતક પાંચ ભાઈ એક બહેનમાં વચેટ અને સંતાનમાં બે પુત્ર અનેં એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે.
