રાજ્યના ઈન્ચાર્જ ડી.જી.પી. કે.એન.એલ.રાવે લીધો નિર્ણય, ચાર્જશીટ ફાઈલ કરવામાં વધુ સમય લાગશે તો અધિકારી જવાબદાર
રાજ્યમાં મહિલાઓ અને સગીર બાળાઓ પર થતા અત્યાચારોના કિસ્સામાં પીડિતોને ત્વરિત ન્યાય અપાવવા માટે ડીજીપી ડો. કે.એલ.એન. રાવ દ્વારા મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતના ઇન્ચાર્જ પોલીસ વડા ડો. કે.એલ.એન રાવે બળાત્કાર અને ઙઘઈજઘ કેસમાં ઝડપી તપાસ અને ન્યાય માટે તમામ પોલીસ કમિશ્નર અને જીલ્લા પોલીસ વડાને કડક ગાઈડલાઈન જારી કરી છે કે આવા સંવેદનશીલ કેસમાં 60 દિવસમાં તપાસ પૂર્ણ કરીને ચાર્જશીટ ફાઈલ કરવી ફરજિયાત છે. આ આદેશથી પીડિતોને ઝડપી ન્યાય મળે તેની ખાતરી કરવામાં આવશે અને પોલીસ વ્યવસ્થામાં જવાબદારી વધશે..
બળાત્કારના ગુનામાં વધુમાં વધુ 60 દિવસમાં તપાસ પૂર્ણ કરવાની રહેશે ગુજરાત રાજ્યમાં મહિલાઓ અને સગીર બાળાઓ સામે થતા જાતીય અપરાધોને રોકવા અને પીડિતોને ઝડપી ન્યાય અપાવવા માટે પોલીસ વિભાગે કમર કસી છે. તમામ પોલીસ કમિશનર અને જિલ્લા પોલીસ અધીક્ષકોને કડક સૂચના આપવામાં આવી છે કે મહિલા અને સગીર બાળા પરના બળાત્કારના ગુનાઓમાં હવેથી વધુમાં વધુ 60 દિવસમાં તપાસ પૂર્ણ કરવાની રહેશે. નવા ફોજદારી કાયદા (BNSS) હેઠળ મહિલા સુરક્ષા માટે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે.
ગુજરાતના ઇન્ચાર્જ પોલીસ વડા ડો. કે.એલ.એન રાવે પોલીસ કમિશનર-જિલ્લા પોલીસવડાઓને રિયલ-ટાઇમ મોનિટરિંગ કરવા સૂચના આપી છે. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023 હેઠળ તપાસની ગુણવત્તામાં સુધારો કરવા માટે આ પગલું લેવાયું છે. કલમ 193(2) મુજબ જાતીય અપરાધોની એફ.આઈ.આર. નોંધાયાના બે મહિનાની અંદર તપાસ પૂર્ણ કરવી હવે પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારી માટે કાયદેસરની જવાબદારી બની ગઈ છે. ડિજિટલ પુરાવા અને ફોરેન્સિક પર ખાસ ભાર મુકાશે ડિજિટલ પુરાવા અને ફોરેન્સિક પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે, જેથી હવે ગુનાની સાબિતી માટે માત્ર નિવેદનો પૂરતાં નહીં રહે. સાત વર્ષથી વધુની સજા હોય એેવા ગુનામાં ફોરેન્સિક નિષ્ણાતોની મુલાકાત અનિવાર્ય છે. ગુનાની તપાસની સમગ્ર પ્રક્રિયા અને પુરાવા એકત્ર કરવાની વિધિની વીડિયોગ્રાફી કરવી પડશે.
જેથી કોર્ટમાં પુરાવા સાથે છેડછાડની શક્યતા ન રહે. આ સિવાય રાજ્યનાં તમામ પોલીસ મથકોએ E-GujCop પ્લેટફોર્મ પર કેસની વિગતો સમયસર અપડેટ કરવી પડશે. આ ડેટા સીધો જ ઇન્વેસ્ટિગેશન ટ્રેકિંગ સિસ્ટમ ફોર સેક્સ્યૂઅલ ઓફેન્સિસ (ITSSO) પોર્ટલ પર રિફ્લેક્ટ થશે.કોઈ કેસમાં 60 દિવસથી વધુ સમય લાગશે તો તે અધિકારીની જવાબદારી ગણાશે. ડીજીપી ડો. કે.એલ.એન. રાવ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે કે તમામ પોલીસ વડાઓએ પોતાના જિલ્લા કે શહેરમાં નોંધાયેલા આવા કેસોની નિયમિત સમીક્ષા કરવી અને તપાસમાં કોઈપણ પ્રકારનો વિલંબ ન થાય તે સુનિશ્ચિત કરવાનું રહેશે.
