માણાવદરના ગાયત્રી મંદિર વિસ્તારમાં આવેલા પૌરાણિક ટપકેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસ દરમિયાન એક અનોખી ઘટના બની હતી. મંદિરના શિવલિંગ પર અચાનક એક સાપ પ્રગટ થયો હતો. શિવલિંગ પર સાપ પ્રગટ્યાના સમાચાર વાયુવેગે પ્રસરતા આસપાસના અસંખ્ય ભક્તો દર્શન માટે ટપકેશ્વર મહાદેવ મંદિરે ઉમટી પડ્યા હતા. શ્રાવણ માસમાં શિવલિંગ પર સાપના દર્શનને ભક્તોએ આસ્થા સાથે જોડીને જોયું હતું.
મંદિરે એકત્રિત થયેલા કેટલાક શ્રદ્ધાળુઓએ શિવલિંગ પર બિરાજેલા સાપને દૂધ પીવડાવ્યું હતું. ભક્તોએ આ ઘટનાને ભગવાન ભોલેનાથના પ્રત્યક્ષ દર્શન સમાન માની ધન્યતા અનુભવી હતી. વન્યજીવની સુરક્ષાને ધ્યાનમાં રાખીને, સાપને કોઈ ઈજા ન પહોંચે તે માટે તાત્કાલિક ધોરણે તેના સુરક્ષિત રેસ્ક્યુની વ્યવસ્થા કરાઈ હતી. નિષ્ણાતો દ્વારા સાપનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી તેને કુદરતી વાતાવરણમાં, એટલે કે જંગલમાં સુરક્ષિત રીતે છોડી દેવામાં આવ્યો છે.
