અભ્યાસમાં નાપાસ થવાના ડરે અને ઓછા ટકા આવવાને કારણે અનેક વાર વિદ્યાર્થીઓ દ્વારા આપઘાત નો પ્રયાસ કે આપઘાત કરી લેતા હોવાની ઘટના બનતી હોય છે ત્યારે રાજકોટમાં પણ આવી જ એ ઘટના બનવા પામી છે. કોઠારીયા રોડ પર માધવ પાર્કમાં રહેતા યુવાને ધો.12માં ઓછા ટકા આવ્યા બાદ હતાશ થઈ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.
આ અંગે મળતી માહિતી અનુસાર, રિષી વિનોદભાઈ દોંગા(ઉ.21)એ ગઈકાલે સાંજે પોણા પાંચેક વાગ્યાં આસપાસ પોતાના ઘરે ગળાફાંસો ખાઈ લીધો હતો.પરિવારને જાણ થતા 108 માં જાણ કરી હતી. જેથી 108 ના ઇ.એમ.ટી નેહાબેન સ્થળ ઉપર પહોંચ્યા હતા અને રિષિને જોઈ તપાસી મૃત જાહેર કર્યો હતો.આ અંગે આજીડેમ પોલીસને જાણ કરાતા એએસઆઈ જે.કે.કુરીયા તેમની ટીમ સાથે દોડી ગયા હતા.જરૂૂરી કાગળ કાર્યવાહી કરીને યુવકનો મુદ્દે પીએમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો.
પરિવારજનોની પૂછપરછ માં જાણવા મળ્યું હતું કે, રિશી બે ભાઈમાં નાનો હતો તેમના માતા-પિતા ગામડે રહે છે અહીં ભાઈ ભાભી સાથે રહેતો હતો.ભાઈ પોતાના કામ પર ગયા હતા અને ભાભી નજીકમાં જ એક લગ્ન પ્રસંગ હોય ત્યાં ગયા હતા રિશી ઘરે એકલો હતો ત્યારે તેણે ગળાફાંસો ખાઈને જિંદગી ટૂંકાવી લીધી હતી. રિશી ના પિતા ખેતી કામ કરે છે. પોલીસ સૂત્રોમાંથી જાણવા મળ્યું કે, એકાદ વર્ષ પહેલા રિષિને ધો.12માં ઓછા ટકા આવ્યા હતા. જે બાદથી તે નિરાશ રહેતો હતો. જેના કારણે આ પગલું ભર્યાનું અનુમાન છે. આશાસ્પદ યુવાનના મોતથી પરિવારમાં ભારે કલ્પાંત છવાયો હતો.
