સુરતની સરકારી સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ તબીબ ડો. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં મોટો વળાંક આવ્યો છે. રેગિંગ કમિટી દ્વારા આવેલા તપાસ અહેવાલ બાદ આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ ડીન અને પ્રોફેસરોની બેદરકારી સામે ભારે આક્રોશ વ્યક્ત કર્યો છે.
મંત્રી પ્રફુલ પાનસેરિયાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, કોલેજ અને હોસ્પિટલમાં રેગિંગ અટકાવવાની સીધી જવાબદારી ડીન અને સંબંધિત પ્રોફેસરોની છે. જો જવાબદારોએ સમયસર કામગીરી કરી હોત, તો આજે ડોક્ટર હર્ષ પંડ્યા આપણી વચ્ચે હયાત હોત. તેમણે ઉમેર્યું હતું કે આ સમગ્ર મામલે મેડિકલ કોલેજના ડીન જ મુખ્ય જવાબદાર વ્યક્તિ છે અને તેમની વિરુદ્ધ પણ કડક કાર્યવાહી કરવામાં આવશે.તપાસ સમિતિના રિપોર્ટના આધારે હાલમાં ડીનને શો કોઝ નોટિસ ફટકારવામાં આવી છે.
તંત્ર દ્વારા સ્પષ્ટ સંકેત આપવામાં આવ્યા છે કે રેગિંગ અને માનસિક ત્રાસના કારણે હોનહાર તબીબે ગમાવેલા જીવના કેસમાં દોષિત ગમે તેટલા ઉચ્ચ હોદ્દા પર હશે, તો પણ તેમને બક્ષવામાં આવશે નહીં. આ મામલે આગળની કાયદાકીય અને વહીવટી તપાસ તેજ કરી દેવામાં આવી છે.
