ઘરમાં ઘુસી કારમાં પણ તોડફોડ કરી, પોલીસે છ આરોપીને તાત્કાલિક ઝડપી લીધા
જેતપુરના જેતપુર-જૂનાગઢ રોડ પર આવેલી લાયન્સ સ્કૂલ પાસે ગત જૂની અદાવતના કારણે એક પરિવાર પર હિંસક હુમલો થયાની ઘટના સામે આવી છે. લોખંડના પાઈપ, તલવાર અને છરી જેવા જીવલેણ હથિયારો સાથે આવેલા શખ્સોએ ફરિયાદીના ઘરમાં ઘૂસીને હુમલો કર્યો હતો અને ઘર પાસે પડેલી કારમાં પણ ભારે તોડફોડ કરી હતી. હાલ ઇજાગ્રસ્તો જેતપુર સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.આ મામલે પોલીસે હુમલામાં સંડોવાયેલ સાત શખ્સોની ધરપકડ કરી છે.
મળતી વિગતો મુજબ જેતપુર-જૂનાગઢ રોડ પર આવેલી લાયન્સ સ્કૂલ પાસે રહેતા ખોડીદાસભાઈ મેઘજીભાઈ દાફડાએ નોંધાવેલી ફરિયાદમાં આરોપી આશીય માધાભાઈ ચાવડા,જયદીપ ધીરુભાઈ ચાવડા , દેવ અનિલભાઈ ચાવડા , રોહન દિનેશભાઈ ચાવડા , આશીષનો સાળો કેવલ ગોહેલ, આશષનો ભાઈ નિખિલ માધાભાઈ ચાવડાનું નામ આપ્યું છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, ગત રાત્રે 12/04/2026ના રોજ તેમનો નાનો દીકરો રાહુલ અને તેનો મિત્ર કરણ ગ્રાઉન્ડમાં બેઠા હતા. આ સમયે આશિષ માધાભાઈ ચાવડા અને જયદીપ ધીરુભાઈ ચાવડાએ ત્યાં આવી કરણને ગાળો આપી રાહુલને ઘરે મોકલી દીધો હતો. ત્યારબાદ આ શખ્સોએ ખોડીદાસભાઈના મોટા દીકરા સાહિલને ફોન પર ધમકી આપી ગાળો ભાંડી હતી.
થોડીવારમાં આશિષ ચાવડા મોટરસાયકલ લઈને ખોડીદાસભાઈના ઘર પાસે આવ્યો હતો. જ્યારે ખોડીદાસભાઈ તેને સમજાવવા બહાર નીકળ્યા ત્યારે આશિષ ત્યાંથી જતો રહ્યો અને થોડીવારમાં તેના અન્ય સાગરીતોજયદીપ ચાવડા, દેવ ચાવડા, રોહન ચાવડા, કેવલ ગોહેલ અને નિખિલ ચાવડાને સાથે લઈને હથિયારો સાથે ધસી આવ્યો હતો. હુમલાખોરોએ “આજે એકાદને પતાવી દેવો છે” તેમ કહી હુમલો શરૂૂ કર્યો હતો. આશિષે પાઈપ વડે ખોડીદાસભાઈના માથા પર પ્રહાર કરવાનો પ્રયાસ કરતા, તેમણે હાથ આડો ધરતા ગંભીર ઈજા થઈ હતી. વચ્ચે છોડાવવા પડેલા લતાબેન અને રાહુલ પર પણ પાઈપ અને છરીના હાથા વડે હુમલો કરવામાં આવ્યો હતો. આટલું જ નહીં, હુમલાખોરોએ ફરિયાદીના સાળાની દીકરી સાથે અભદ્ર વર્તન કરી તેનું ટીશર્ટ ફાડી નાખ્યું હતું.
જ્યારે ડરના માર્યા પરિવાર ઘરમાં ભરાઈ ગયો, ત્યારે હુમલાખોરોએ ઘરની બહાર પાર્ક કરેલી સ્વિફ્ટ કાર જીજે -11-એબી-2701 માં પાઈપ અને તલવારો મારી ભારે તોડફોડ કરી હતી. જતાં-જતાં પણ આરોપીઓએ “રોડ પર આવો તો છરીના ઘોદા મારી દઈશું” તેવી ધમકીઓ આપી હતી. ઘટનાની જાણ 112 પર કરવામાં આવતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. 108 એમ્બ્યુલન્સ મારફતે ઇજાગ્રસ્તોને જેતપુર સરકારી હોસ્પિટલ ખસેડાયા છે. પોલીસે ખોડીદાસભાઈની ફરિયાદના આધારે ગુનો નોંધી તમામ આરોપીને ઝડપી લીધા હતા. જેતપુર સીટીના પી.આઈ એ.ડી.પરમાર, પીએસઆઈ આર.બી. બલદાણીયા, પીએસઆઈ બી.ડી.મારૂૂ ,એ.એસ.આઈ. મીલનસીંહ ડોડીયા, , નિલેશભાઈ ડાંગર, સાગરભાઈ મકવાણા, રાણાભાઈ વકાતર, હાર્દીકભાઈ ભીંભા , મચ્છાભાઈ ચીરોડીયાએ કામગીરી કરી હતી.
