નેપાળની રાજધાની કાઠમંડુમાં ફરી એકવાર રાજશાહીની પુન:સ્થાપનાની માંગે જોર પકડ્યું છે. શુક્રવાર, 13 ફેબ્રુઆરી 2026 ના રોજ પૂર્વ રાજા જ્ઞાનેન્દ્ર શાહ પૂર્વ નેપાળ (ઝપા) થી પરત ફર્યા ત્યારે ત્રિભુવન આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર હજારો સમર્થકોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. પ્રશાસન દ્વારા એરપોર્ટ વિસ્તારમાં પાંચથી વધુ લોકોના એકઠા થવા પર પ્રતિબંધ હોવા છતાં, પ્રદર્શનકારીઓ સવારથી જ ત્યાં જમા થવા લાગ્યા હતા.
હાથમાં રાષ્ટ્રધ્વજ અને પૂર્વ રાજાની તસવીરો લઈને સમર્થકોએ અમારા રાજા, અમારો દેશ અને રાજા આવો, દેશ બચાવો જેવા નારા લગાવ્યા હતા. પૂર્વ રાજા જ્ઞાનેન્દ્ર શાહે તેમની કારની સનરૂૂફમાંથી બહાર નીકળીને ભીડનું અભિવાદન કર્યું હતું, જ્યારે દંગા વિરોધી પોલીસને ભીડને કાબૂમાં લેવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી હતી. આ વિરોધ પ્રદર્શન 5 માર્ચ 2026 ના રોજ યોજાનારી આગામી સામાન્ય ચૂંટણીઓ પહેલા થઈ રહ્યા છે. આંદોલનના અગ્રણી ચહેરાઓમાંના એક, દુર્ગા પ્રસાઈએ સ્પષ્ટપણે કહ્યું છે કે જ્યાં સુધી હિન્દુ રાજતંત્રની પુન:સ્થાપનાના એજન્ડા પર ચર્ચા નહીં થાય ત્યાં સુધી શાંતિપૂર્ણ ચૂંટણી શક્ય નથી.
નેપાળમાં રાજશાહી પ્રત્યે વધતું સમર્થન છેલ્લા 18 વર્ષની રાજકીય અસ્થિરતાનું પરિણામ માનવામાં આવે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, 2008 માં રાજશાહીના અંત પછી નેપાળમાં 14 વખત સરકારો બદલાઈ છે. પ્રદર્શનકારીઓનો આરોપ છે કે વર્તમાન સંઘીય ગણતંત્ર વ્યવસ્થા ભ્રષ્ટાચાર, બેરોજગારી અને આર્થિક સંકટને દૂર કરવામાં નિષ્ફળ રહી છે. સમર્થકોનું માનવું છે કે રાજા એક વાલી તરીકે દેશને એકજૂથ રાખી શકે છે.
રાજશાહી સમર્થક આ આંદોલન ગયા વર્ષથી જ તીવ્ર બન્યું છે. 28 માર્ચ 2025 ના રોજ કાઠમંડુના તિનકુનેમાં થયેલા પ્રદર્શનોએ હિંસક સ્વરૂૂપ ધારણ કર્યું હતું,
જેમાં એક પત્રકાર સહિત બે લોકોના મોત થયા હતા અને 110 થી વધુ લોકો ઘાયલ થયા હતા.
રાષ્ટ્રીય પ્રજાતંત્ર પાર્ટી (છઙઙ) અને ‘સંયુક્ત જન આંદોલન સમિતિ’ જેવા સંગઠનો નેપાળને ફરીથી એક બંધારણીય હિન્દુ રાષ્ટ્ર બનાવવાની માંગ કરી રહ્યા છે. જોકે, રાજકીય વિશ્ર્લેષકોનું માનવું છે કે બંધારણીય અવરોધો અને મુખ્ય પ્રવાહના પક્ષોના વિરોધને કારણે રાજશાહીની તાત્કાલિક વાપસીની રાહ પડકારજનક છે. હાલમાં, પૂર્વ રાજા જ્ઞાનેન્દ્ર શાહ પોતે આ માંગણીઓ પર મૌન સેવી રહ્યા છે, પરંતુ તેમની વધતી જતી લોકપ્રિયતાએ દેશની વર્તમાન સત્તાને ગંભીર ચિંતામાં મૂકી દીધી છે.
