વડોદરાને કેટલ ફ્રી સિટી બનાવવા માટે નેતાઓ દ્વારા મસમોટા દાવાઓ કરવામાં આવી રહ્યા છે, જે હકીકતમાં ક્યારે પરિણમશે કોઇ જાણતું નથી. આ વચ્ચે શહેરના કલાલી વિસ્તારમાં ચાલુ વરઘોડામાં ગાય ઘૂસી ગઇ હતી. અને તેણે 6 જેટલા જાનૈયાઓને ભેંટી મારી હતી. જેમાં ચાર જેટલા જાનૈયાઓને નાની-મોટી ઇજાઓ પહોંચતા તાત્કાલિક અક્ષરચોક પાસેની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
વડોદરામાં રખડતા પશુઓના કારણે અકસ્માતની અનેક ઘટનાઓ સામે આવી ચૂકી છે. પરંતુ આ ઘટનાઓ અટકે તેવા નક્કર પગલાં નહીં લેવાતા સિલસિલો જારી રહ્યો છે. પાલિકાના સત્તાધીશો શહેરને કેટલ ફ્રી બનાવવાની દિશામાં કામ કરતા હોવાના મસમોટા દાવાઓ કરી રહ્યા છે. પરંતુ આ દાવાઓ હકીકતમાં ક્યારે પરિણમશે તે કોઇ કહી શકતું નથી. ત્યારે આ વચ્ચે તાજેતરમાં વડોદરા શહેરના કલાલી વિસ્તારમાં લગ્નપ્રસંગના ડીજેમાં ગાય ઘૂસી ગઇ હતી.
જેને પગલે અડધો ડઝન જાનૈયાઓ ઇજાગ્રસ્ત થયા હતા. જે તમામને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં લઇ જવા પડ્યા હતા.પરિજન ઉમેશ મારવાડીએ જણાવ્યું કે, લગ્નના વરઘોડામાં ડીજે વાગી રહ્યું હતું. દરમિયાન ગાય ભડકી ગઇ હતી. અને દોડી હતી. ત્રણ ગાયો દોડી હતી. તે પૈકી એક ગાય વરઘોડામાં ઘૂસી ગઇ હતી. અને લોકોને ભેંટી મારી હતી. 6 જેટલા લોકો અડફેટે આવતા સારવાર માટે લાવવા પડ્યા છે. હાલ ચાર જાનૈયાઓની સારવાર ચાલી રહી છે. અમે આ મામલે કોઇ પોલીસ કેસ કર્યો નથી. પાલિકાએ રખડતા ઢોર મામલે કાર્યવાહી કરવી જ જોઇએ.
