ખૂન કા બદલા ખૂન પ્રકરણમાં ચાર આરોપીને શંકાનો લાભ આપી મુક્ત કરતી અદાલત

જામનગર રોડ પરના ભીસ્તીવાડમાં રહેતા મોહસીન હનીફભાઇ જુણેજા (ઉ.વ.30) અને તેના બે માસિયાઇ ભાઇ આબીદ જુણાચ તથા રફિક તા.12/1/18ના ગુરુવારે રાત્રે એકાદ વાગ્યે ધર્મેન્દ્ર રોડ…

જામનગર રોડ પરના ભીસ્તીવાડમાં રહેતા મોહસીન હનીફભાઇ જુણેજા (ઉ.વ.30) અને તેના બે માસિયાઇ ભાઇ આબીદ જુણાચ તથા રફિક તા.12/1/18ના ગુરુવારે રાત્રે એકાદ વાગ્યે ધર્મેન્દ્ર રોડ પર નાસ્તો કરવા ગયા હતા. ત્રણેય ભાઇઓ નાસ્તો કરી રહ્યા હતા ત્યારે સ્કોર્પિયો અને એક્ટિવામાંથી ધસી આવ્યા હતા. સ્કોર્પિયોમાંથી કુખ્યાત રીયાઝ ઇસ્માઇલ દલ અને તેનો ભાઇ રીઝવાન દલ, તેનો પિતા ઇસ્માઇલ ઉર્ફે બટુક ઇશા દલ, શાહરૂૂખ ઉર્ફે રાજા બાબુ જુણેજા તેમજ એક્ટિવા ત્રણ અજાણ્યા શખ્સોએ ‘આજે તને મારી નાખવો છે’ તેમ કહી છરીથી સામુહિક હુમલો કર્યો હતો.

જેમાં છરીના 19 ઘા ઝીંકાતા મોહસીન ઉર્ફે અસગરે સ્થળ પર જ દમ તોડી દીધો હતો. આ અંગે એ. ડિવિઝન પોલીસમાં આબિદ હુસેનભાઇ જુણેજાએ રિયાઝ ઈસ્માઈલ દલ, શાહરુખ ઉર્ફે રાજા અલારખું જુણેજા, રિઝવાન ઉર્ફે બોડિયો ઈસ્માઈલ દલ અને ઈસ્માઈલ ઉર્ફે બટુક ઈસા દલ તેમજ બાળ આરોપીના નામ આપ્યા હતા. તેમાં 11 મહિના પૂર્વે ગાયકવાડીમાં નિઝામ દલની હત્યા થઇ હતી, તેનો ખાર રાખીને દલ પરિવારે મોહસીનને છરીના 19 ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી વેરની વસૂલાત કરી હોવાનું જણાવતા પોલીસે તમામની ધરપકડ કરી તપાસ પૂર્ણ થતા અદાલતમાં ચાર્જશીટ રજુ કરવામાં આવ્યું હતું.

ગુનાની ગંભીરતાને ધ્યાને લઇ સ્પે. પી.પી.ની નિમણૂક કરવામાં આવેલ, આ કામમાં સરકાર પક્ષે કુલ 41 સાહેદો તથા 113 દસ્તાવેજો રજુ કરવામાં આવેલ અને સરકારપક્ષે એવી રજૂઆત કરવામાં આવેલ કે, નજરે જોનાર સાહેદો, સ્વતંત્ર સાહેદો, પંચ સાહેદો, ડોક્ટર, એફ.એસ.એલ. અધિકારી અને પોલીસ સાહેદોને તપાસેલ છે તે પૈકી એકપણ સાહેદ હોસ્ટાઈલ થયેલ નથી. ગુજરનારએ ઓરલ ડી.ડી. આપેલ છે તે તમામ ધ્યાનમાં લઇ સજા કરવાની રજૂઆત કરી હતી. આ કામમાં બચાવપક્ષના એડવોકેટ પિયુષ શાહ રજૂઆત કરી કે, દુશ્મનાવટના કારણે ખોટા નામ આપેલ છે, નજરે જોનાર સાહેદો તથા ઓરલ ડી.ડી.ના સાહેદ બનાવના સમયે અને સ્થળે હાજર ન હતા, તેવું ઉલટ તપાસ દરમિયાન વિગતો બહાર આવેલ છે, તેના આધારે સજા થઈ શકે નહિ, તેમજ ઉચ્ચ અદાલતના ચુકાદાઓને ધ્યાન લઇ અદાલતે તમામ આરોપીઓને શંકાનો લાભ આપી છોડી મુકવાનો હુકમ કર્યો છે.

આ કેસમાં આરોપીઓ વતી રાજકોટના પી.એમ. શાહ લો ફર્મના સિનિયર એડવોકેટ પીયુષભાઈ એમ. શાહ, અશ્વિનભાઈ ગોસાઈ, નિતેષભાઈ કથીરિયા, નીવીદભાઈ પારેખ, જીતેન્દ્રભાઈ ધુળકોટીયા, વિજયભાઈ પટગીર, હર્ષિલભાઈ શાહ, ચિરાગભાઈ શાહ, રાજેન્દ્રભાઈ જોશી, રવિરાજભાઈ વાળા તથા આસિસ્ટન્ટ તરીકે સંજયભાઈ મેરાણી, મિહિરભાઈ શાહ, રાજાભાઈ ભટ્ટ તથા વિપુલભાઈ દેવમુરારી રોકાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *