સંસ્થાના માલિકો સામે પોલીસમાં ગુન્હો નોંધાયો
ગીર સોમનાથ જિલ્લામાં બાળમજૂરી નાબૂદ થાય તે માટે કલેક્ટર એન.વી.ઉપાધ્યાયે કડક સૂચના આપી છે. આ સૂચના અન્વયે બાળ શ્રમયોગી નાબુદી અંગેનો ટાસ્કફોર્સ સમિતિ સાથે બાળમજૂરી નાબૂદી ઝૂંબેશ હેઠળ તા.18 માર્ચના રોજ વેરાવળ શહેરના વિસ્તારમાં વિવિધ જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા હતાં. સરકારી શ્રમ અધિકારી એમ.એચ.પરમાર સહિત નાયબ નિયામક સમાજ કલ્યાણ અધિકારી (અ.જા) ની કચેરી, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરી, ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થયની કચેરી, વેરાવળ સીટી પોલીસ સ્ટેશનના કર્મચારી ઓની ઉપસ્થિતિમાં દરોડા દરમિયાન ટાવર ચોક પાસે આવેલી એક દુકાનમાંથી એક તરુણ શ્રમયોગી મળી આવ્યો હતો.
જેથી સંસ્થાના માલિક ને નોટિસ પાઠવી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ ઉપરાંત સટ્ટા બજારમાં પણ એક એકમમાંથી બાળ શ્રમયોગી ને ગેરકાયદેસર કામે રાખી બાળ મજૂરી કરાવતા હોવાનું ધ્યાને આવતાં સંસ્થા ના માલિક વિરુદ્ધ વેરાવળ પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું સરકારી શ્રમ અધિકારી એમ.એચ.પરમાર એ યાદીમાં જણાવાયું છે.
