રાજકોટમાં ઋષિવંશી સમાજનાં સમૂહ લગ્નમાં 28 દીકરીઓને રઝળાવી આયોજકો ફરાર થઈ ગયા હતાં. જે ઘટનામાં સંડોવાયેલા મુખ્ય સુત્રધાર આયોજક ચંદ્રેશ છત્રોલાએ વાવડી વિસ્તારમાં પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર ઉંઘની વધારે પડતી ગોળીઓ પી લીધી હતી. આપઘાતનો પ્રયાસ કરનાર ચંદ્રેશ છત્રોલાને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોલીસ હોસ્પિટલે નિવેદન નોંધવા પહોંચે તે પૂર્વે જ ચંદ્રેશ છત્રોલા પ્રાથમિક સારવાર લઈ જતો રહ્યો હોવાનું જાણવા મળ્યું છે.
આ બનાવ અંગે પોલીસમાંથી મળતી વિગત મુજબ, વાવડી વિસ્તારમાં રહેતા ચંદ્રેશ જગદીશભાઈ છત્રોલા નામનો 43 વર્ષનો યુવાન બપોરના ત્રણેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતો ત્યારે ઉંઘની વધુ પડતી દવા પી લીધી હતી. ચંદ્રેશ છત્રોલાની તબિયત લથડતાં તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, ઉંઘની વધુ પડતી દવા પી લેનાર ચંદ્રેશ છત્રોલા સહિતનાએ ગત 22 ફેબ્રુઆરીના રોજ રેલનગરમાં ઋષિવંશી સમાજનાં સમૂહલગ્નનું આયોજન કર્યુ હતું અને સમૂહ લગ્નના દિવસે જ મુખ્ય આયોજક ચંદ્રેશ છત્રોલા સહિતના ફરાર થઈ જતાં 28 યુગલો રઝળી પડયા હતાં. જે અંગે આયોજકો વિરૂધ્ધ ફરિયાદ નોંધાઈ હતી. જેમાં ચંદ્રેશ છત્રોલા મુખ્ય આયોજક હતો. પોલીસ હોસ્પિટલે નિવેદન નોંધવા પહોંચે તે પૂર્વે જ ચંદ્રેશ છત્રોલા પ્રાથમિક સારવાર લઈ હોસ્પિટલમાંથી જતો રહ્યો હોવાનું પોલીસમાંથી જાણવા મળ્યું છે. આ બનાવ અંગે તાલુકા પોલીસે ચંદ્રેશ છત્રોલાના વધુ પડતી ઉંઘની ગોળીઓ પીવાનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.
