વડોદરા જિલ્લાના પાદરામાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. જિલ્લા પંચાયતની ચૂંટણી પહેલા જ સ્થાનિક ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ એક જાહેર કાર્યક્રમમાં કોંગ્રેસને રાક્ષસ ગણાવતા વિવાદ સર્જાયો છે. આ ઘટના પાદરાના સરસવણી પંચાયત ઘરના ખાતમુહૂર્ત કાર્યક્રમ દરમિયાન બની હતી. આ પ્રસંગે સંબોધન કરતાં ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા.
ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ કહ્યું હતું કે અમે વિકાસના કામો કરીએ છીએ ત્યારે કોંગ્રેસના લોકો તેમાં હવનમાં હાડકા નાંખતા રાક્ષસો જેવા બનીને આવે છે. આ નિવેદનથી રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા શરૂૂ થઈ ગઈ છે. ચૈતન્યસિંહ ઝાલાનું આ નિવેદન એક સંવેદનશીલ સમયે આવ્યું છે. જ્યારે જિલ્લા પંચાયતની ચૂંટણીઓ નજીક છે. આ નિવેદનથી કોંગ્રેસ પક્ષમાં રોષ જોવા મળ્યો હતો અને આગામી દિવસોમાં તેઓ આ અંગે સત્તાવાર પ્રતિક્રિયા આપશે તેવું લાગી રહ્યું છે.રાજકીય વિશ્ર્લેષકોનું માનવું છે કે આવા શબ્દપ્રયોગથી રાજકીય વાતાવરણ વધુ તંગ બનશે અને ચૂંટણી પ્રચારમાં તેની અસર જોવા મળી શકે છે. આ પ્રકારના વ્યક્તિગત આક્ષેપોને બદલે વિકાસના મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું જરૂૂરી છે. નિવેદને પાદરાના રાજકારણમાં એક નવો વળાંક આપ્યો છે.
