રાજકોટના ખંઢેરીમાં નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ભારત અને આયર્લેન્ડની મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે ત્રણ વન-ડેની ચેમ્પિયનશિપ રમાવાની છે. સોમવારે બપોરે સાંજે આયર્લેન્ડની ટીમ રાજકોટ આવી પહોંચી હતી અને મોડી સાંજે ભારતની ટીમનું પણ આગમન થયું હતું. ભારતીય ટીમના ચાર પ્લેયર આજે સવારે આવી પહોચ્યા હતાં. ત્રણ વન-ડેની ચેમ્પિયનશિપનો પ્રથમ મેચ તા.10ના બીજો મેચ તા.12ના અને ત્રીજો મેચ તા.15ના રમાશે. આજે બપોરે બાર વાગ્યે ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ખંઢેરી ગ્રાઉન્ડ ખાતે અને બપોરના સેશનમાં બપોરે ત્રણેક વાગ્યે આયર્લેન્ડની ટીમ પ્રેક્ટિસમાં પરસેવો પાડ્યો હતો.
રાજકોટમાં પ્રથમ વખત આંતરરાષ્ટ્રિય મહિલા ક્રિકેટ મેચ રમાવાની હોય ક્રિકેટ રસિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આયર્લેન્ડની ટીમની સરખામણીમાં ભારતીય ટીમના ખેલાડીઓ વધુ અનુભવી છે. ત્રણ મેચની આ ચેમ્પીયનશિપમાં ભારત વિદેશી ટીમને વ્હાઇટવોશ કરશે તેવું ક્રિકેટ નિષ્ણાતો કહી ચૂક્યા છે.
