રાજકોટમાં ઉછીના નાણા પરત કરવાનો 5.50 લાખનો ચેક રિટર્ન થવાના કેસમાં અદાલતે આરોપીને નિર્દોષ છોડી મૂકવા હુકમ કર્યો છે. આ અંગેની હકીકત મુજબ, રાજકોટના નીલેશ મથુરદાસ મહેતાએ વેપાર સાથે સંકળાયેલા વકીલ નયનભાઈ જેંતીલાલ વેકરીયા પાસેથી નજીકના સંબંધના દાવે રૂૂ.5.50 લાખ લીધા હતા.જે નાણા પરત આપવા નીલેશ મહેતાએ એક ચેક રૂૂ. બે લાખનો અને અન્ય ત્રણ ચેક આપ્યા હતા. આ ચેક બેંકમાં રજૂ કરવામાં આવતા ખાતું બંધ થઈ ગયું હોવાની નોંધ સાથે પરત ફર્યા હતા.
આથી ફરીયાદી વકીલ વતી કાનૂની નોટિસ બાદ આરોપી નીલેશ સામે કોર્ટમાં ફરિયાદ કરવામાં આવી હતી. આ કેસ ચાલવા ઉપર આવતા આરોપીના વકીલ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે ફરિયાદી ભલે એડવોકેટ અને વેપારી હોય છતાં આટલી મોટી રકમના વ્યવહારમાં કોઈપણ પ્રકારનું લેખિત દસ્તાવેજ કે રસીદ અથવા લખાણ, ખાતામાં નોંધ નથી, જે સામાન્ય વ્યવસાયિક વહેવારની વિરુદ્ધ છે.
જે દલીલો ધ્યાને લઈ અદાલતે આરોપી વિરુદ્ધ ગુનો પુરવાર થતો નહીં હોવાનું ઠરાવી નિર્દોષ છોડી મૂકવા હુકમ કર્યો છે. આ કામમાં આરોપી વતી એડવોકેટ ધર્મેશભાઇ નાનાલાલ શેઠ, હિત શેઠ, અંકુર શેઠ રોકાયા હતા.
