રેલવે ટ્રેક પાર કરતી વખતે થતી દુર્ઘટનાઓને હવે રેલવે મિશન મોડમાં રોકશે. સુવિધાજનક સબ વે બનાવી આ સુનિશ્ચિત કરવામાં આવશે. તેની વ્યાપક તૈયારીઓના ભાગરૂૂપે રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે નવી દિલ્હીમાં સંબંધિત અધિકારીઓ સાથે વર્કશોપ યોજી હતી.
જ્યાં રેલવે ટ્રેક ની એક બાજુ વસાહત છે અને બીજી બાજુ ખેતર, શાળા, સ્મશાન અથવા અન્ય ઉપયોગી અને મહત્વપૂર્ણ સ્થળો છે, તેવા સ્થળોએ આ રેલવે સબ વે બનાવવામાં આવશે. રેલ મંત્રીએ દેશભરમાં આવા સબ વે બનાવવા માટે નિર્દેશ આપ્યો છે, જ્યાં રોજિંદા જીવનમાં મોટી સંખ્યામાં લોકો રેલવે ટ્રેક પાર કરે છે.
રેલ મંત્રીએ અધિકારીઓને એવી સુવિધાજનક રેલવે સબ વે બનાવવાની સૂચના આપી કે જે રેલવે ટ્રેક પાર કરતા લોકો માટે જીવનદાયી વિકલ્પ બની શકે. આ સબ વે બનાવતી વખતે એ વાતનું ધ્યાન રાખવામાં આવશે કે સામાન્ય માણસ સાયકલ, મોટરસાયકલ તથા રોજગાર સંબંધિત અન્ય સામાન સાથે સરળતાથી પસાર થઈ શકે. આથી દેશભરમાં રેલવે ટ્રેક પાર કરતી વખતે થતી દુર્ઘટનાઓમાં ઘટાડો થશે. દેશની મોટી જનસંખ્યા માટે ભારતીય રેલના આ સબ વે આશીર્વાદ સમાન સાબિત થશે. રેલ મંત્રીએ અધિકારીઓને આ મોટી સમસ્યાથી આગામી 5-6 વર્ષમાં મુક્તિ અપાવવા કહ્યું છે. આ સબ વે એવી રીતે બનાવવામાં આવશે કે રેલવે ટ્રેકની આરપાર તેનું નિર્માણ માત્ર 12 કલાકમાં શક્ય બને.
રેલ મંત્રીએ કહ્યું કે ડિઝાઇન એવી હોવી જોઈએ કે લોકો તેને ઉપયોગમાં લેવા માટે સંકોચ થાય નહીં અને પાણી ભરાવાથી સબ વે પ્રભાવિત ન થાય. રેલવે સબ વે બનાવવાનો આ મહત્વપૂર્ણ નિર્ણય છેલ્લા ઘણા દિવસોથી અધિકારીઓ સાથે ચાલી રહેલી ચર્ચા-વિચારણાનું પરિણામ છે.
રેલ મંત્રીએ માન્યું કે વ્યવસ્થા સંવેદનશીલ હોવી જોઈએ અને સામાન્ય માણસની સમસ્યાઓનો એવો ઉકેલ શોધવામાં આવે જે આવનારા ઘણા દાયકાઓ સુધી અસરકારક રહે.
