જામનગર જિલ્લાના જોડીયામાં એક લગ્ન પ્રસંગમાં આવેલા મોરબીના સનાળા ગામના યુવાને વધુ પડતો દારૂૂનો નશો કરી લેતાં જોડીયા ના બસ ડેપો પાસે અકસ્માતે પટકાઈ પડવાથી માથામાં ઇજા થવાના કારણે તેનું મૃત્યુ નીપજ્યું છે.
આ બનાવની વિગત એવી છે કે મોરબી જિલ્લાના સનાળા ગામના વતની હરપાલસિંહ ભવાનસિંહ ઝાલા નામના 45 વર્ષના રાજપુત યુવાન, કે જે દારૂૂ પીવાની ટેવ વાળા હતા, અને જોડિયામાં એક લગ્ન પ્રસંગમાં આવ્યા હતા. જેઓએ દારુ નો નશો કરેલો હોવાથી જોડિયાની સરકારી હોસ્પિટલ સામે બસ સ્ટેશન નજીક અકસ્માતે નીચે પટકાઈ પડ્યા હતા, અને તેને માથાના ભાગે ઇજા થઈ હતી. જેથી તેને સારવાર માટે જોડિયાની સરકારી હોસ્પિટલમાં લઈ જવાયા હતા, જયાં તેઓનું મૃત્યુ નિપજ્યું હોવાનું જાહેર કરાયું હતું. આ બનાવ અંગે મૃતકના મોટાભાઈ હરિશ્ચંદ્રસિંહ ભવાનસિંહ ઝાલાએ પોલીસને જાણ કરતાં જોડિયા ના પોલીસ હેડ કોન્સ્ટેબલ એમ.બી. ઝરમરીયા બનાવના સ્થળે, અને ત્યારબાદ હોસ્પિટલમાં દોડી ગયા હતા, અને મૃતદેહ નો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.
