હજુ પંદર દિવસ પહેલા જ અમરેલીના પાણીયામા સિંહે સાત વર્ષના બાળકને ફાડી ખાધા બાદ હવે સાવરકુંડલાના ખાલપરની સીમમા ગારીયાધારના 32 વર્ષીય યુવકને સાવજે ફાડી ખાધાની ઘટના બની છે. જો કે વનતંત્રએ યુવકના મોત અંગે આશંકા વ્યકત કરી હોય તેનુ પેનલ પીએમ કરવામા આવશે.
સાવજે 32 વર્ષીય યુવકને ફાડી ખાધાની આ ઘટના સાવરકુંડલા તાલુકાના ખાલપર ગામની સીમમા બની હતી. જયાં ગારીયાધારના નદીમ નઝીરભાઇ કુરેશી નામના યુવકને સાવજે ફાડી ખાતા તેનો માત્ર અડધો મૃતદેહ મળ્યો હતો. આ યુવકના ખાલપર ગામે લગ્ન થયા હતા અને તેની પત્ની પાછલા કેટલાક સમયથી રીસામણે હતી. ગઇકાલે આ યુવાન પોતાનુ મોટર સાયકલ લઇ પત્નીને મળવા માટે આવ્યો હતો અને રાત્રીના સમયે ગારીયાધાર પરત જવા માટે નીકળ્યો હતો.
સવારે ગામની સીમમા એક કપાસના ખેતરમાથી આ યુવકની અર્ધ ખવાયેલી લાશ મળી હતી. આ યુવકને સાવજ પગના નીચેના ભાગેથી ખાઇ ગયો હતો. શરીરનો બાકીનો ભાગ મહદઅંશે સલામત હતો. ઘટનાની જાણ થતા વનતંત્ર અને પોલીસ સ્ટાફ અહી દોડયો હતો. આ યુવકને સાવજે જરૂૂર ખાધો હતો પરંતુ તેનુ મોત થયા બાદ સાવજે તેને ખાધો હોવાની આશંકા વનવિભાગે વ્યકત કરતા પેનલ ડોકટરથી પીએમ માટે યુવકની લાશને હોસ્પિટલે ખસેડાઇ હતી. આ યુવકને ઘરેથી નીકળી ગારીયાધાર જવાનુ હતુ પરંતુ સીમમા ખેતરમા કઇ રીતે પહોંચ્યો ? તે મોટો પ્રશ્ન છે. પોલીસને યુવકનો મોબાઇલ મળ્યો નથી. માત્ર ચપ્પલ અને બાઇક મળ્યાં છે.
જયાંથી લાશ મળી તે વિસ્તારમા એક સિંહ અને સિંહણ તેના ત્રણ બચ્ચા સાથે વસે છે. વળી આ બચ્ચા નાના હોય તેના રક્ષણ માટે સિંહ સિંહણ આક્રમક બની ગયા હોય અને યુવક પર હુમલો કરી દીધો હોય તેવી પણ શકયતા જોવાઇ રહી છે. અહી ઘટના સ્થળે યુવકનુ બાઇક પાર્ક કરેલુ મળ્યુ હતુ અને 200 મીટર દુરથી મૃતદેહ મળ્યો હતો. ઘટના સ્થળે સિંહના પંજાના નિશાન પણ હતા અને બાઇકની બાજુમા બે મોટા પથ્થર પણ પડેલા હતા.