શહેરના થોરાળા વિસ્તારમાં પૈસાની લેતીદેતી મામલે એક યુવાન પર છરી વડે હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે. સર્વોદય સોસાયટી શેરી નં. 02માં રહેતા 36 વર્ષીય વિશાલભાઈ માવજીભાઈ પારઘી નામના મજૂર યુવાને આ અંગે રોહિત ઉર્ફે દિકો કિશોરભાઈ પરમાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, ગત તારીખ 20/04/2026ના રોજ રાત્રિના સમયે જ્યારે વિશાલભાઈ પોતાના મિત્રો રાહુલ પરમાર અને હાર્દિક ગોહેલ સાથે ઘર પાસે ઉભા હતા, ત્યારે આરોપી રોહિત ત્યાં આવ્યો હતો. આરોપીએ અગાઉ આપેલા 2100 રૂૂપિયા પરત માંગતા વિશાલે હાલ સગવડ ન હોવાનું કહી પછી આપવાનું જણાવ્યું હતું.આ સાંભળતા જ આરોપી ઉશ્કેરાઈ ગયો હતો અને ગાળો આપી ઢીકાપાટુનો માર માર્યા બાદ પોતાની પાસે રહેલી છરી વડે વિશાલના ડાબા હાથની કોણી ઉપર ઘા મારી ગંભીર ઇજા પહોંચાડી હતી.
હુમલા દરમિયાન વિશાલભાઈએ બૂમાબૂમ કરતા તેના મિત્રોએ વચ્ચે પડી તેને વધુ મારથી બચાવ્યો હતો, જેના પગલે આરોપી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. વધુ પડતું લોહી વહી જવાને કારણે વિશાલભાઈ બેભાન થઈ ગયા હતા, ત્યારબાદ 108 એમ્બ્યુલન્સ મારફતે તેમને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે મધુરમ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં હાથનું ઓપરેશન કરાવ્યા બાદ આજે તેમણે થોરાળા પોલીસ મથકે પહોંચી આપવીતી વર્ણવી હતી. પોલીસે આ મામલે ભારતીય ન્યાય સંહિતાની કલમ 115(2), 118(1), 352 અને જી.પી. એક્ટની કલમ 135(1) મુજબ ગુનો દાખલ કર્યો છે. હેડ કોન્સ્ટેબલ દેવાનંદ હિરાભાઈ વાળાએ આ કેસની વધુ તપાસ હાથ ધરી છે.
