ભાવનગરના જાગીવાડની ટાંકી નજીક ટ્રક ચાલકે બાઈકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક ચાલક યુવાનનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું.
પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર શહેરના જાગીવાડની ટાંકી નજીક ઈન્ડિયા ટાવર પાસે યમદુત બનીને આવેલા ટ્રકના ચાલકે બાઈક સવાર યુવાનને અડફેટે લેતા આનંદનગર એલ.આઈ.જી.માં રહેતા અને ખાનગી કંપનીમાં નોકરી કરતા પ્રદિપભાઈ મહેશભાઈ પડધરીયાનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું.
બનાવ ની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અકસ્માત સર્જાતા લોકોના ટોળે ટોળા એકઠા થઈ જવા પામ્યા હતા અને આ વિસ્તારની મહિલાઓએ અવાર નવાર અકસ્માત સર્જાયા હોય આ રોડ ઉપર સ્પીડ બ્રેકર મુકવા અને ટ્રક સહિતના ભારે વાહનોની અવર જવર ઉપર પ્રતિબંધ મુકવા માંગ કરી હતી.
આ અંગે પોલીસે પંચનામુ સહિતના કાગળો તૈયાર કરી લાશને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
