મૃતક પશ્ર્ચિમ બંગાળનો હોવાનુ તપાસમાં ખુલ્યું
પશ્ચિમ બંગાળના મહેશ પાટી માલદાના મૂળ રહીશ અને હાલ દ્વારકામાં બારડીયા ગામે આવેલી રાજમોતી સોસાયટીમાં રહેતા અનુપ બાપી શહા નામના 25 વર્ષના યુવાને સોમવારે રાત્રિના સમયે કોઈ અગમ્ય કારણોસર પોતાના ભાડાના રહેણાંક મકાનમાં લોખંડી રેલીંગ માં દુપટ્ટા વડે ગળાફાંસો ખાઈ લેતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ અમીતાબ બાપી શહાએ દ્વારકા પોલીસને કરી છે.
ખંભાળિયામાં પેશકદમી સબબ પાંચ સામે ફરિયાદ
ખંભાળિયા તાલુકાના સલાયા વિસ્તારમાં જવાબેન ઉર્ફે જયાબેન લખમણભાઈ વાનરીયા અને મયુરભાઈ રામભાઈ ગઢવીના સંયુક્ત નામે આવેલી ખેતીની આશરે 20 વીઘા જેટલી જમીનને એપ્રિલ 2025 ના સમયગાળા દરમિયાન અહીંના જિલ્લા કલેક્ટર દ્વારા ધોરણસર બિનખેતી અંગેનો હુકમ કરવામાં આવ્યો હતો. અહીં સલાયામાં રહેતા અબ્દુલ હાજી, કરીમ હાજી, ઈસ્માઈલ હાજી ઘાવડા, રજાક હાજી ઘાવડા અને ઈશા હાજી ઘાવડા નામના બે શખ્સો દ્વારા છેલ્લા આશરે બે માસના સમયગાળા દરમિયાન અવારનવાર આ જમીનમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી અને ગેરકાયદેસર રીતે બાંધકામ કરવામાં આવતું હોવાનું ખુલવા પામ્યું હતું. આ જમીનમાં સીદાભાઈ લખમણભાઈ વાનરીયાએ બિનખેતીની જગ્યામાં કરાવેલા પ્લોટીંગમાં નિશાન તથા પ્લોટોના માપ-સાઈઝ વિગેરે કાઢી અને તેમને આશરે રૂૂપિયા બે લાખ જેટલું નુકસાન કર્યાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. આ સમગ્ર પ્રકરણ અંગે સલાયા મરીન પોલીસે અહીંના યોગેશ્વર નગર (ધરમપુર) વિસ્તારમાં રહેતા સીદાભાઈ લખમણભાઈ વાનરીયાની ફરિયાદ પરથી તમામ પાંચ આરોપીઓ સામે બી.એન.એસ.ની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વાડીનારમાં ત્રણ માછીમારો સામે કાર્યવાહી
વાડીનાર વિસ્તારમાં સલાયાના રહીશ રજાક ઈશાક ભાયા, સબીર ઈશાક ભાયા અને સુલતાન સાલેમામદ મોડા નામના ત્રણ માછીમારોએ માછીમારી કરવા માટે કોઈપણ જાતની પરવાનગી લીધા વગર તેમજ માછીમારી કરવા માટેનું ઓનલાઈન ટોકન મેળવ્યા વગર તથા હોળીના રજીસ્ટ્રેશનના કાગળો સાથે રાખ્યા વગર માછીમારી કરીને પરત આવતા વાડીનાર મરીન પોલીસે ઝડપી લઇ, ઉપરોક્ત ત્રણેય આસામીઓ સામે ગુજરાત ફિશરીઝ એક્ટની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
