ધોરાજી પંથકમાંથી એક અરેરાટીભરી ઘટના સામે આવી છે. ધોરાજીમાં કેનાલ પાસે આવેલા એક ખેતરમાં મજૂરી કામ કરતા પરપ્રાંતિય શ્રમિક યુવાને કોઈ અગમ્ય કારણોસર કૂવામાં કૂદીને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. મૂળ મહારાષ્ટ્રના નંદુરબાર પંથકનો વતની અને હાલ ધોરાજીમાં ખેત મજૂરી કરતો 30વર્ષીય શંકર પંડિત નામનો યુવાન આજે પોતાના કામ પર હતો, તે દરમિયાન અચાનક તેણે ખેતરમાં આવેલા કૂવામાં ઝંપલાવી દીધું હતું. યુવાને અચાનક આ આખરી પગલું ભરી લેતા આસપાસના લોકોમાં દોડધામ મચી ગઈ હતી.
ઘટનાની જાણ થતા જ ધોરાજી નગરપાલિકાની ફાયર ફાઈટરની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફાયર ટીમે ભારે જહેમત બાદ યુવાનના મૃતદેહને કૂવામાંથી બહાર કાઢ્યો હતો. ત્યારબાદ શ્રમિકના મૃતદેહને પોસ્ટમોર્ટમ (ઙખ) અર્થે ધોરાજીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. આત્મહત્યા પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. 30 વર્ષના આશાસ્પદ યુવાને કયા સંજોગોમાં આત્મઘાતી પગલું ભર્યું તે રહસ્ય હાલ અકબંધ છે. ધોરાજી તાલુકા પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી, મૃતકના પરિવારજનોની પૂછપરછ અને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
