જામનગરના પટેલ કોલોની વિસ્તારમાં આનંદબાગ નજીક એક મકાનમાં લોહીયાળ જંગ ખેલાયો હતો. મકાન માલિક અને તેના ઘેર રસોઈ કામ કરવા માટે આવેલી મહિલા બંને વચ્ચે કોઈ કારણસર થયા બાદ બંને છરી વડે ઇજાગ્રસ્ત હાલતમાં લોહીથી લથભથ મળી આવ્યા હતા, અને બંનેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. જ્યાં મહિલાની હાલત ગંભીર ગણાવાઇ રહી છે. સીટી બી. ડિવિઝનનો પોલીસ કાફલો દોડતો થયો છે, અને સમગ્ર મામલામાં ઊંડાણપૂર્વકની તપાસ શરૂૂ કરી છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં લીમડાલેન વિસ્તારમાં ઝેરોક્ષની દુકાન ચલાવતા અને પટેલ કોલોની વિસ્તારમાં આનંદ બાગ નજીક રહેતા મુકેશભાઈ અગ્રાવત (58) કે જેને ત્યાં રસોઈ કામ કરવા માટે આવેલા ભાવનાબેન ચૌહાણ નામના મહિલા જે બંને વચ્ચે કોઈ બાબતે બોલાચારી થયા બાદ છરીબાજીની ઘટના બની હતી, અને મુકેશભાઈ તથા ભાવનાબેન બંને છરી વડે ઘાયલ થયેલી અવસ્થામાં અને લોહી નિતરતી હાલતમાં જોવા મળ્યા હતા. જેને લઈને દોડધામ થઈ હતી.
બંને ઇજાગ્રસ્તો ને સારવાર માટે જામનગરની સરકારી જીજી. હોસ્પિટલમાં પહોંચાડ્યા હતા, જ્યાં બંનેની સઘન સારવાર ચાલી રહી છે. ભાવનાબેનના ગળાના ભાગની ધોરી નસ કપાઈ હોવાથી તેઓની હાલત અત્યંત નાજુક ગણાવાઇ રહી છે.
