ગત નવેમ્બર માસ દરમિયાન રાજકોટ નાગરિક સહકારી બેન્કમાં 21 ડીરેક્ટરોની ચૂંટણી યોજાઈ હતી. તે સમયે ગુજરાતના સહકારી જગતમાં આ ચૂંટણી ચર્ચાનું મોટું કેન્દ્ર બની હતી. સંસ્કાર પેનલના પ્રણેતા અને બેન્કના પૂર્વ ચેરમેન તેમજ ચાર્ટડ એકાઉન્ટ કલ્પકભાઈ મણીઆર સહિતના 15 ઉમેદવારોએ આ ચૂંટણીમાં ઝુંકાવ્યું હતું. સંસ્કાર પેનલના ઉમેદવારી પત્રો રદ્દ કરવા, અન્ય ગેરરીતિઓ તેમજ કૌભાંડો નાગરિક બેંક દ્વારા આચરવામાં આવેલા હતા. ચૂંટણી અધિકારી તરીકે રાજકોટના કલેકટરે ડ્યુઅલ મેમ્બરશીપના મુદ્દે કલ્પકભાઈ મણીઆર સહિતના 4 ઉમેદવારોના ફોર્મ રદ્દ કરેલ હતા, જ્યારે હરીફ જૂથના ચૂંટાઈને આવેલા 10 થી વધુ ડીરેક્ટરો ડ્યુઅલ મેમ્બરશીપ ધરાવતા હતા તેમ છતાં તેમના ફોર્મ રદ્દ થયા નહોતા.
આ રીતે ભયંકર પક્ષપાત કરવામાં આવ્યો હતો. બેન્કના 332 મતદારો એટલે કે ડેલીગેટો માંહેથી 100 ઉપરાંતના મતદારો ડ્યુઅલ મેમ્બરશીપ ધરાવતા હતા પરંતુ તેમને મતદાર તરીકે રદ્દ કરવાનો કોઈ નિર્ણય લેવાયો નહોતો. બેન્કના હરીફ પેનલ દ્વારા ડ્યુઅલ મેમ્બરશીપનો મુદ્દો ઉઠાવેલ પરંતુ તે હરીફ પેનલમાંજ 100થી વધુ મતદારો ડ્યુઅલ મેમ્બરશીપ ધરાવતા હતા અને ડ્યુઅલ મેમ્બરશીપ ધરાવનારા 10 જેટલા ડીરેક્ટરો હરીફ પેનલના ચૂંટાયેલા જાહેર થયેલ હતા. સંપૂર્ણપણે આ અન્યાયપૂર્ણ તેમજ પક્ષપાતી નિર્ણય હતો. આ મુખ્ય મુદ્દા સહિત અન્ય અનેક બેન્કની ગેરરીતિઓને કારણે કાનૂની સંઘર્ષ કરી ન્યાય મેળવવાની સ્થિતિ સર્જાઈ હતી.
બેન્કની આવી ગેરરીતિઓ સામે નારાજ થઈને કલ્પક મણીઆર સહિતના 15 ઉમેદવારોએ સહકાર વિભાગના કેન્દ્રીય રજીસ્ટ્રાર તેમજ રાજ્યના રજીસ્ટ્રાર સમક્ષ ફરિયાદ નોંધાવેલ હતી. આ ફરિયાદના અનુસંધાને કોઈ સ્પષ્ટ નિર્ણય ના આવતા ફરિયાદીઓએ ગુજરાત હાઇકોર્ટમાં સ્પેશિયલ સિવિલ એપ્લીકેશન કરી ન્યાય માટે દાદ માંગી હતી.હાઈકોર્ટના નિર્દેશથી અંતે ગુજરાત સરકારના રજીસ્ટ્રાર ઓફ કો-ઓપરેટીવ સોસાયટીઝ એવા મીતેષ પંડ્યાએ તેમના ઓર્ડર નંબર 216/2025થી આર્બીટ્રેટર તરીકે ગુજરાત હાઇકોર્ટના વરિષ્ઠ ધારાશાસ્ત્રી હર્ષિતશિરીષ ચંદન ટોળિયાની નિમણુંક કરેલ છે. આથી ગુજરાત હાઈકોર્ટમાં તા.12.09. 2025થી હાલ આ મેટર ડીસ્પોઝ થવા પામેલ છે. આ કેસમાં કલ્પકભાઈ મણીઆર સહિતના 15 અરજદારો વતી ગુજરાત હાઈકોર્ટના સીનીયર એડવોકેટ આનંદ બી. ગોગિયા રોકાયેલા હતા.
