હાલ ગુંદાવાડીમાં રહેતા હેતલબેન રાણીંગા (ઉ.વ.35)એ પતિ આકાશ, સાસુ ઉષાબેન, સસરા હરેશભાઈ (રહે. બધા આનંદનગર મેઈન રોડ, ગુ.હા. બોર્ડ ક્વાર્ટર) અને નણંદ ધારાબેન લોઢીયા (રહે. વેરાવળ) સામે ઘરકામ અને રસોઈ બાબતે ઝઘડાઓ કરી, મારકૂટ કરી, ત્રાસ ગુજારી, ઘરમાંથી કાઢી મૂક્યાની મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
હેતલબેને પોલીસને જણાવ્યું કે તેના લગ્ન 24-7-24ના થયા હતા. લગ્ન બાદ તે સંયુક્ત પરિવારમાં રહેવા ગયા હતા.લગ્નના થોડા સમય બાદ સાસુ ઘરકામ અને રસોઈ બાબતે તેમજ ઘરની નાની-નાની બાબતમાં ઝઘડો કરતા હતા.પતિ ઘરે આવે તો તેને તારી ઘરવાળીને રસોઈ બનાવતા નથી આવડતી તેમ કહી ચઢામણી કરી મેણાટોણા મારતા હતા. સાસુ અને પતિ નાની-નાની વાતમાં ઝઘડાઓ કરી ત્રાસ આપવા લાગ્યા હતાં. ત્યારબાદ તેને ન્યૂમેનિયા થઈ જતાં પાંચ દિવસ હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. જ્યાં તેની સારસંભાળ માટે પતિ કે સાસરિયાઓ આવ્યા ન હતાં.પાંચ દિવસ બાદ તેના ભાઈએ ફોન કરતાં પતિ આવ્યો હતો અને ખર્ચો આપવાની ના પાડી હતી. આથી તેને 181 અભયમને બોલાવવાનું કહેતા અડધો ખર્ચો આપ્યો હતો જ્યારે અડધે ખર્ચો તેના ભાઈએ આપ્યો હતો.
ત્યારબાદ હોસ્પિટલમાંથી રજા આપવાની હોવાથી સાસરિયાઓએ તેને લઈ જવાની ના પાડી પતિએ મારી મમ્મીને ચેપ લાગી જાય તેમ કહ્યું હતું. જેને સમજાવતા તેને ઘરે લઈ જવાઈ હતી.આ સમયે નણંદ ધારાબેન ખબર પૂછવા આવ્યા હોય તેણે પતિને તે આને કેમ રાખી છે, આને કાઢી મૂકાય, આપણને આનાથી સારી બીજી મળી જશે એમ કહી ચડામણી કરતા હતા. તેને અલગ રૂૂમમાં રખાતી હોય સાસુને મને જમવાનું આપો કહેતા તે બાપને બોલાવી લે ટિફિન દઈ જાય,તું ત્યાં દવાખાને મરી કેમ ન ગઈ તેમ અપશબ્દો કહી ટોર્ચર કરતા હતા. જેથી તેની તબિયત ખરાબ થઈ જતાં તબીબે ત્રણ મહિનાનો આરામ કરવાનું કહ્યું હતું. તેમજ હાથ પલાળવાની ના પાડી હતી છતાં તું કપડા હાથે ધો,મશીનમાં નથી નાખવા કહેતા ઝઘડો થયો હતો. સાસુએ પતિને ચડામણી કરતાં પતિએ અને સાસુએ મારકૂટ કરી ઘરમાંથી કાઢી મૂકતા અંતે ફરિયાદ નોંધાવી હતી.
