શહેરમાં શહેરમાં કોઠારીયા રોડ ઉપર રણુજા મંદિર પાસે આવેલા શ્યામ પાર્કમાં રહેતી પરિણીતાએ ખોટી વાતો કરવાની ના પાડતાં પાડોશી મહિલાઓએ હુમલો કરી માર માર્યો હોવાના આક્ષેપ સાથે પરિણીતાને સારવાર માટે ખસેડવામાં આવી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ શહેરમાં કોઠારીયા રોડ ઉપર રણુજા મંદિર પાસે આવેલા શ્યામ પાર્કમાં રહેતી કાજલબેન પ્રકાશભાઇ પટોડીયા નામની 33 વર્ષની પરિણીતા બપોરના ત્રણેક વાગ્યાના અરસામાં પોતાના ઘર પાસે હતી. ત્યારે પડોશી નીશોબન અને તુલસીબેન સહિતનાએ લાકડીથી માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલી પરિણીતાને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આ અંગે જાણ થતાં આજીડેમ પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો.
પ્રાથમિક પૂછપરછમાં કાજલબેને જણાવ્યું હતું કે તેમના પતિ ડ્રાઇવીંગ કરતાં હોઇ લાંબો સમય સુધી બહારગામ રહે છે. પતિએ એક પડોશી પાસેથી ઉછીના પૈસા લીધા હોઇ આ પડોશી પોતાને મળતાં આ પૈસા બાબતે વાત કરતાં હતાં. આ પછી પડોશણોએ આ વાતને લઇને ખોટી વાત ફેલાવતાં પોતે તેને આવી વાતો કરવાની ના પાડવા જતાં હુમલો કર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. આક્ષેપના પગલે આજીડેમ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
