શહેરના પેડક રોડ પર આવેલી આર્યનગર સોસાયટીમાં રહેતા અને સોની-ચાંદીના કામ માટેની મશીનરી બનાવતા વેપારી સાથે તેની જ જ્ઞાતિના જામનગરના શખ્સે વેપારમાં મદદ કરવાના બહાને દેખાવ કરી સાડા પાંચ લાખ રૂૂપિયા ઉછીના લઇ ગયા બાદ આ રકમ પરત ન આપતાં ફરિયાદ થઇ છે. આ બનાવમાં આયનગર સોસાયટી પેડક રોડ બાલક હનુમાનજીના મંદિર પાસે રહેતાં કુણાલ અતુલભાઇ પિત્રોડા (ઉ.વ.24) નામના યુવા વેપારીની ફરિયાદ પરથી બી-ડિવીઝન પોલીસે હાલ રાજકોટ રહેતાં જામનગરના મિનેષ અતુલભાઇ પિત્રોડા નામના શખ્સ વિરૂૂધ્ધ ગુનો દાખલ કર્યો છે.
કૃણાલે પિત્રોડાએ ફરિયાદમાં જણાવ્યું છે કે હું પરિવાર સાથે રહુ છું અને ઘરની નીચે જ ભવાની એન્જિનીયરીંગ નામે ચાંદી કામની મશીનરી બનાવવાનુ કારખાનુ અને શો રૂૂમ ચલાવુ છું. ગઈ તા. 2/11/2023ના બપોરનાં સવા ત્રણેક વાગયે હું કારખાને હતો ત્યારે મારા પિતા બહારગામ ગયેલ હતા તે વખતે મને મારા પિતાનો ફોન આવેલ અને કહેલું કે આપણા સમાજના એક ભાઇ જામનગરથી આવે છે અને તે લાલપુરવાળા કોઇ શાંતિભાઈના રેફરન્સથી આવે છે તું તેને જોઇ લેજે, આમ વાત થયેલ જે બાદ થોડીવારમાં તે ભાઇ આવેલ જેણે પોતાનું નામ મિનેષ અતુલભાઈ પીત્રોડા જણાવ્યું હતું. તેણે વાતચીતમાં પોતે જામનગરમાં ભગવતી એંજીનિયરી નામનું ટ્રેક્ટર/ટેલરનું મેન્યુફેક્ચરીંગ કરતા હોઈ અને પોતે અમારા જેવું જ કામ કરતા હોઇ જેથી અમારા ધંધાનો વેપાર વધારે વિકસાવવા અને ગ્રાહકો વધારવા માટે મદદ કરશે તેવી વાત કરી હતી.
ત્યારબાદ મિનેષે કહેલું કે-મારી માલ ભરેલી ગાડી રાજકોટ શહેર અટીકા ફાટક આસપાસ કોઈ કારખાનામાંથી કાઢવાની છે અને તે વેપારીને મારે રૂૂપિયા સાડા પાંચ લાખ આપવાનાં છે અને મારો ભાઈ જામનગરથી આરટીજીએસ કરાવે છે, એ પહેલા તમે મને સાડા પાંચ લાખ આપો તો મારે એ વેપારીને દેવાના છે. આ પછી મિનેષે મારા જુના મિત્ર કે જેની સાથે હું આણંદમાં ભણ્યો હતો તે કિર્તનભાઇ મુકેશભાઇ ગજ્જરનું પણ નામ આપતાં હું વિશ્વાસમાં આવી ગયો હતો. મારા પિતાને ફોન કરતાં તે રીસીવ થયો નહોતો. એ દરમિયાન મિનેષ ઉતાવળ કરવા લાગતાં મેં તેને રોકડા સાડા પાંચ લાખ આપી દીધા હતાં.
એ પછી મારા પિતા આવતાં મેં તેને મિનેષને આપેલા રૂૂપિયાની વાત કરી હતી. તેણે તરત મિનેષને ફોન જોડયો હતો. પરંતુ ફોન રિસીવ થયો નહોતો. થોડાક દિવસ બાદ અમે અમારા જ્ઞાતિ-સમાજમાં મિનેષ વિશે પુછતાછ કરતાં ખબર પડી હતી કે તેણે આ રીતે સમાજના નામે બીજા લોકોને પણ વિશ્વાસમાં લઇ પૈસા લઇ જઇ પરત આપ્યા નથી. ત્યારબાદ મિનેષનો ફોન પર સંપર્ક થતાં તેણે પૈસા આપી દેશે તેવો વિશ્વાસ આપ્યો હતો. પરંતુ આજ સુધી તેણે માત્ર વાતો જ કરી હોઇ અને પૈસા આપ્યા ન હોઇ તેમજ હવે સરખા જવાબ પણ દેતો ન હોઇ અંતે ફરિયાદ દાખલ કરાવવાનું નક્કી કર્યું હતું. તેમ વધુમાં કૃણાલ પિત્રોડાએ જણાવતાં પીએસઆઇ એન. એમ. પીઠીયાએ ગુનો દાખલ કરતાં આગળની તપાસ એએસઆઇ અનિલસિંહ ગોહિલે હાથ ધરી છે.
