અમરેલીમાં રહેતા ગાંઠીયાના ધંધાર્થીએ ધંધો નહીં ચાલતા આર્થિક ભીંસથી કંટાળી ઝેરી ટીકડા ખાઈ લીધા હતાં. આપઘાતનો પ્રયાસ કરનાર આધેડને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, અમરેલીમાં આવેલ બ્રાહ્મણ સોસાયટીમાં રહેતાં ધર્મેશભાઈ હરીભાઈ જોષી નામના 55 વર્ષના આધેડ સવારના અગિયારેક વાગ્યાના અરસામાં જીઆઈડીસી વેબ્રીજ પાસે હતા ત્યારે ઝેરી ટીકડા ખાઈ લીધા હતાં. આપઘાતનો પ્રયાસ કરનાર ધર્મેશભાઈ જોષીને તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતાં.પ્રાથમિક પુછપરછમાં ધર્મેશભાઈ જોષી ચાર ભાઈ બે બહેનમાં વચેટ અને તેમને સંતાનમાં ત્રણ પુત્ર અને બે પુત્રી છે. ધર્મેશભાઈ જોષી ગાંઠીયા બનાવવાનું કામ કરે છે. હાલમાં ધંધો ચાલતો નહીં હોવાથી આર્થિક ભીંસથી કંટાળી ઝેરી ટીકડા ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે અમરેલી પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
