અંબાજીમાં માંઇભકતોનું ઘોડાપુર, ત્રીજા દિવસે 7.70 લાખ ભાવિકો ઉમટ્યાં

ત્રણ દિવસમાં 15 લાખ શ્રદ્ધાળુઓએ શીશ ઝુંકાવ્યા, એક જ દિવસમાં 4.91 લાખ લોકોને મોહનથાળનું વિતરણ આકર્ષક રોશનીથી ઝળહળ્યું શક્તિપીઠ, રાત્રીના સમયે અદ્ભૂદ-દિવ્ય દૃશ્યોનો નજારો ઉત્તર…

ત્રણ દિવસમાં 15 લાખ શ્રદ્ધાળુઓએ શીશ ઝુંકાવ્યા, એક જ દિવસમાં 4.91 લાખ લોકોને મોહનથાળનું વિતરણ

આકર્ષક રોશનીથી ઝળહળ્યું શક્તિપીઠ, રાત્રીના સમયે અદ્ભૂદ-દિવ્ય દૃશ્યોનો નજારો

ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલ સુપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજીમાં બે દિવસ પૂર્વે સોમવારથી ભાદરવી પૂનમના મહામેળાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. આગામી 7 સપ્ટેમ્બર સુધી ચાલનારા આ શક્તિ-ભક્તિ અને આસ્થાના મિની કુંભમાં દરરોજ લાખો માઈભક્તો માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે. અત્યાર સુધી મેળાના ત્રણ દિવસ દરમિયાન 14.99 લાખથી વધુ માઈભક્તોએ મૉં અંબાના ચરણોમાં શીશ ઝૂકાવી ચૂક્યા છે.ગઈકાલે સાંજે 5 થી આજે સાંજે 5 વાગ્યા સુધી 24 કલાકના સમયગાળા દરમિયાન 7,70,224 જેટલા શ્રદ્ધાળુઓએ માતાજીના દર્શન કર્યા છે. સતત ત્રીજા દિવસે મોટી સંખ્યામાં માઈભક્તો માતાજીના દર્શન કરવા ઉમટી પડતાં અંબાજી જતાં રસ્તા પર ભાવિકોની ભારે ભીડ જોવા મળી હતી.

ત્રીજા દિવસે ઉડન ખટોલા અર્થાત રોપવેમાં 10,082 યાત્રિકો નોંધાયા છે. આમ 3 દિવસ દરમિયાન કુલ 28,446 યાત્રિકોએ ગબ્બર સુધી પહોંચવા માટે રોપવે સેવાનો લાભ લીધો છે.જ્યારે ત્રીજા દિવસે 89,593 જેટલા યાત્રાળુઓએ બસમાં પ્રવાસ કર્યો હતો. જેના માટે કુલ 1091 ટ્રિપો થઈ હતી. મેળાના ત્રીજા દિવસે 690 જેટલા સંઘ અને માઈભક્તોએ ધજારોહણ કરી હતી.

જો પ્રસાદની વાત કરીએ તો, આજે ત્રીજા દિવસે 4,90,939 જેટલા મોહનથાળના પ્રસાદ તેમજ 4909 જેટલા ચીકીના પ્રસાદના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે. તેમજ ત્રીજા દિવસે 78 હજારથી વધુ ભાવિકોએ ભોજનાલયમાં પ્રસાદ આરોગ્યો હતો. જ્યારે આજે ત્રીજા દિવસે મંદિર ટ્રસ્ટને 500 ગ્રામ ચાંદીની આવક નોંધાઈ છે.

ભાદરવી પૂનમના મહાકુંભને કારણે શક્તિપીઠ અંબાજી ધામ રોશનીથી ઝળહળી ઉઠ્યું છે. મંદિર અને તેની આસપાસના માર્ગોને રંગબેરંગી લાઇટિંગ અને સુંદર શણગારથી સજાવવામાં આવ્યા છે, જેના કારણે રાત્રિના સમયે અદભૂત અને અલૌકિક દૃશ્યો સર્જાયા છે. ડ્રોન વીડિયોમાં મા અંબાનું ધામ અત્યંત ભવ્ય અને દિવ્ય લાગી રહ્યું છે, જે જોઈને લાખો ભક્તો આનંદની લાગણી અનુભવી રહ્યા છે.

શક્તિ, ભક્તિ અને આસ્થાનું પર્વ ભાદરવી પૂનમનો મહામેળો અંબાજી ખાતે શરૂૂ થયો છે. ભાદરવી પૂનમના આ મહાકુંભના પવિત્ર અવસરે લાખોની સંખ્યામાં ભક્તો મા અંબાના દર્શનાર્થે ઉમટી રહ્યા છે. ભક્તોના ઉમંગ અને ઉત્સાહને વધારવા માટે, અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ અને પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા સમગ્ર મંદિર પરિસર અને આસપાસના વિસ્તારોને ખાસ પ્રકારની લાઈટિંગ અને સુંદર શણગારથી સજાવવામાં આવ્યા છે.

અંબાજી તરફ જતા તમામ માર્ગો, જેમાં દાંતા, હડાદ અને ગબ્બર તરફના રસ્તાઓનો સમાવેશ થાય છે, તે રંગબેરંગી રોશનીથી ઝળહળી ઉઠ્યા છે. ખાસ કરીને ગબ્બર રોડ પર વિવિધ પ્રકારની પ્રતિકૃતિઓ અને લાઈટિંગની સજાવટ ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બની છે. રાત્રિના સમયે આ રોશની મંદિરની ભવ્યતા અને સુંદરતામાં અનેકગણો વધારો કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *