આપઘાતનું કારણ અકબંધ; પુત્રીના મોતથી પરિવારમાં કલ્પાંત
ધોરાજીના ઉમરકોટમાં રહેતી 14 વર્ષની સગીરાએ કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પુત્રીના મોતથી પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, ધોરાજી તાલુકાના ઉમરકોટ ગામે રહેતી અરૂણાબેન સુનિલભાઈ સિંગાડ નામની 14 વર્ષની સગીરા પોતાના ઘરે હતી ત્યારે કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લીધો હતો. સગીરાને તાત્કાલીક 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ મારફતે ધોરાજી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જ્યાં સગીરાની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ ફરજ પરના તબીબે જોઈ તપાસી નિષ્પ્રાણ જાહેર કરતાં પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી. આ ઘટના અંગે જાણ થતાં ધોરાજી પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલીક ઘટના સ્થળે અને સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. પોલીસે જરૂરી પંચનામાની કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડયો હતો. પોલીસે સગીરાના આપઘાત પાછળનું કારણ જાણવા તપાસનો દૌર લંબાવ્યો છે.
