ગુજરાત
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા નવસારી ડૂબ્યું
150થી વધુ વિસ્તારોમાં 8 ફૂટ સુધી પાણી ભરાયા, 2200 લોકોનું સ્થળાંતર, અનેક લોકો ઘર છોડવા મજબૂર: સુરત-નવસારી હાઇવે સહિત અનેક રસ્તાઓ બંધ, લોકો માટે હેલ્પલાઇન નંબર જાહેર કરાયા
નવસારીની પૂર્ણા નદીએ રૌદ્રરૂૂપ ધારણ કરતાં હવે પાણી શહેરમાં ઘૂસી રહ્યા છે. નવસારી શહેરના મુખ્ય ગણાતા મોટા બજાર સુધી પૂર્ણા નદીના પાણી પહોંચી ચૂક્યા છે. પાણી સાથે ડ્રેનેજનું પાણી પણ બેક મારતાં સ્થિતિ વિકટ બની છે. પૂર્ણાનું જળ સ્તર 23 ફૂટની ભયજનક સપાટી વટાવી 30 ફૂટ પર પહોંચી ગયું છે. નવસારીમાં આવવાના મોટાભાગના રસ્તાઓ પર પાણી ફરી વળતા મળ્યા છે. નવસારી-સુરતને જોડતા માર્ગ ઉપર ગોઠણ સમાથી વધુ પાણી ભરાયા છે. સાથે જ મહાવીર સોસાયટીમાં પણ પાણી ભરાયા છે અને વાહનો પાણીમાં ડૂબ્યા છે. પૂર્ણા નદીની સપાટી વધતાં ચિંતા વધી છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે. અત્યાર સુધી 2200 લોકોનું સ્થળાંતર કરાયું છે. પૂર્ણા નદી ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે. પૂર્ણા નદી 30 ફુટની સપાટીએ વહી રહી છે. જો હજુ સપાટી વધે તો મુશ્કેલી વધી શકે છે. ઉપરવાસમાંથી વધુ પાણી આવે તો ચિંતા વધી શકે છે. પૂર્ણા નદીના પૂરના કારણે અનેક લોકો પ્રભાવિત થયા છે અને નવસારીના 35,000 લોકોને પૂરની અસર થઇ છે. 150થી વધુ સોસાયટીઓમાં પાણી ભરાયા છે. અનેક વિસ્તારોમાં 2થી 8 ફુટ સુધીના પાણી ભરાયા છે.
પૂર્ણા નદીએ રૌદ્ર સ્વરૂૂપ ધારણ કરતા નવસારીમાં તબાહી મચી છે. સેંકડો લોકો ઘર છોડવા મજબૂર બન્યા છે. નવસારી શહેરમાં છેલ્લા બે દિવસથી મેઘરાજાએ વિરામ લીધો છે. પરંતુ ઉપરવાસમાં વરસી રહેલા ધોધમાર વરસાદના કારણે પૂર્ણા નદી ગાંડીતૂર બનતા નવસારી શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. પૂર્ણા નદીની ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે.
શહેરના આ વિસ્તારોમાં ઘર હોય કે દુકાન હોય તમામ જગ્યાએ 5થી 8 ફૂટ પાણી જોવા મળી રહ્યાં છે. નવસારી-સુરત હાઈવે સહિત અન્ય કેટલાક રસ્તાઓ બંધ કરવાની નોબત આવી છે. ધોધમાર વરસાદને કારણે ઘણા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. આ સ્થિતિમાં અસરગ્રસ્તોની વ્હારે તંત્ર પહોંચ્યું છે. રાહત બચાવ કામગીરી, પોલીસ, વહીવટી તંત્ર અસરગ્રસ્તોની મદદે પહોંચ્યું છે. એનડીઆરએફ, એસડીઆરએફ ની ટીમોએ પણ અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચી લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા છે.
નવસારીમાં ઝીરો કેઝ્યુઅલિટીના એપ્રોચ સાથે કામગીરી કરવામાં આવી રહી છે. 2200 લોકોનું આશ્રયસ્થાનોમાં સુરક્ષિત રીતે સ્થળાંતર કરવામાં આવ્યું છે. રેલ રાહત કોલોની, બાલાપીર દરગાહ, દશેરા ટેકરી, રૂૂસ્તમવાડી, વિજલપોર મારૂૂતિનગર જેવા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાને કારણે અંદાજિત 1560 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. જેમને ફુડપેકેટની તથા આરોગ્ય વિષયક તમામ સુવિધાઓ કરવામાં આવી છે. ગ્રામ્ય વિસ્તારના પારડી, વાડા, અડદા, ધારાગીરી, નશીલપોર, પીનસાડ, કછોલ, કસ્બાપાર, ચંદ્રવાસણસુપા ગામોમાં કુલ મળી 664 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. જ્યારે નાગરિકો માટે ટોલ ફ્રી નંબર 1077 તથા નવસારી જિલ્લાનો હેલ્પલાઇન નંબર 02637-233002/259401 ઉપર સંપર્ક કરવા અનુરોધ કરાયો છે.
નવસારીમાં આવેલી આકાશી આફત કારણે નવસારીના 35000થી વધુ લોકો પ્રભાવિત થયા છે. જેને લઇ તંત્ર દ્વારા સ્થાળાંતર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. સ્થાળાંતર કરાયેલા લોકો માટે જમવાની વ્યવસ્થા કરવાની કામગીરી નવસારીના રામજી મંદિર ખાતે કરવામાં આવી હતી.
ગુજરાત
અમદાવાદમાં PMના કાર્યક્રમ સ્થળે ડોમ તૂટતાં 9 ઘવાયા
જીએમડીસી ગ્રાઉન્ડમાં 40 ફૂટ ઊંચો ડોમ ખોલતી વખતે સર્જાયેલી દુર્ઘટના, બે મજૂરોની હાલત ગંભીર
અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં આજે વહેલી સવારે દૂર્ઘટના સર્જાતા 9 જેટલા શ્રમિકો ઘવાયા હતાં. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ગત તા. 16ના રોજ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ કાર્યક્રમ સ્થળેથી વિશાળ ડોમ ઉતારતી વખતે અચાનક જ ડોમનો એક હિસ્સો તુટી પડતા આ દુર્ઘટના સર્જાઈ હોવાનું જાણવા મળે છે. ઘવાયેલા શ્રમિકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. આ દુર્ઘટના 9 મજુરો ઘાયલ થયા હતાં. જેમાં બેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસ વખતે તૈયાર કરાયેલા જર્મન ડોમને ઉતારવામાં આવતી વખતે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ દરમિયાન ડોમની નીચે દટાઈ જતાં 9 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. પીએએલ ઈવેન્ટ્સ દ્વારા આ ડોમ તૈયાર કરવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીની સભા માટે અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે 4 વિશાળ વોટરપ્રૂફ જર્મન ડોમ તૈયાર કરાયા હતા. જેમાં 80 હજારથી 1 લાખ લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરાઈ હતી.
વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસ વખતે તૈયાર કરાયેલા જર્મન ડોમને ઉતારવામાં આવતી વખતે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ દરમિયાન ડોમની નીચે દટાઈ જતાં 9 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમા 2ની હાલત અત્યંત ગંભીર હોવાની જાણકારી મળી રહી છે. પીએએલ ઈવેન્ટ્સ દ્વારા આ ડોમ તૈયાર કરવામાં આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર આ ઘટના ડોમ ખોલતી વખતે બની હતી. અહીં એકભાગ ખોલતા શ્રમિકો પણ બીજો ભાગ ઉપરથી પડ્યો હતો. જોકે સદભાગ્યે આ ઘટના ચાલુ કાર્યક્રમે નહોતી બની જેના લીધે હજારો લોકોના જીવ બચી ગયા. કારણ કે આ કાર્યક્રમમાં હજારો લોકોએ હાજરી આપી હતી.
ઈજાગ્રસ્તોને નજીકમાં વસ્ત્રાપુરની હોસ્પિટલમાં ખાનગી વાહનમાં લઈ જવાયા હતા. જ્યાં આ ઘટના વિશે જાણકારી મેળવતાં વિષ્ણુ નામના પીડિતે જણાવ્યું હતું કે અમે લગભગ 40 ફૂટની હાઈટ પરથી આ ડોમ ખોલવાનું કામ કરી રહ્યા હતા અને તે સમયે જ ડોમ પડ્યું જેના લીધે અમે પણ નીચે પટકાયા હતા. અમે કુલ 12 લોકો હતા. આ ઘટના મોડી રાતે 3 વાગ્યે આ ઘટના બની હતી. જેના બાદ અફરા તફરીની સ્થિતિ સર્જાઈ હતી. ઘાયલોને નજીકમાં જ વસ્ત્રાપુર ખાતે ખાનગી વાહનમાં અમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. હાલમાં બેની હાલત ગંભીર હોવાનું તબીબોએ જણાવ્યું છે.
ક્રાઇમ
ક્રેડિટ કાર્ડના નાણાની ઉઘરાણી માટે રેલવે કર્મચારીને ઓફિસમાં ઘુસી માર માર્યો
કોઠી કંપાઉન્ડ ખાતે આવેલી રેલવેની કંટ્રોલ ઓફિસમાં ફરજ બજાવતાં રેલવે કર્મચારીને ક્રેડીટ કાર્ડના નાણાની ઉઘરાણી માટે રિકવરી એજન્ટોએ ઓફિસમાં ઘુસી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાતાં પોલીસે બે શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ, રેલનગર શેરી નં.15માં રહેતા અને કોઠી કંપાઉન્ડ ખાતે કંટ્રોલ ઓફિસમાં ખલાસી તરીકે નોકરી કરતાં પ્રકાશભાઈ ધનજીભાઈ શામળ (ઉ.34)એ પ્ર.નગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે બીપીન હરીભાઈ સોલંકી અને અશ્ર્વિન વસંતભાઈ કુગશીયાના નામ આપ્યા છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ તેઓ એસબીઆઈ બેંકનું ક્રેડીટ કાર્ડ વાપરતાં હોય ગત તા.17નાં બપોરે તેઓ પોતાની ઓફિસમાં ફરજ પર હતાં ત્યારે આરોપી બીપીને ફોન કરી તમારા ક્રેડીટ કાર્ડનું રૂા.2,34,068નું પેમેન્ટ બાકી છે તેમ જણાવતાં ફરિયાદીએ છ વાગ્યા પછી વાત કરશું તેમ કહેતા આરોપી ઓફિસે ધસી આવ્યો હતો અને ઓફિસમાં દાદાગીરી કરી રોફ જમાવી બળજબરીથી નાણા પડાવવા પ્રયાસ કર્યો હતો.
ત્યારબાદ તેને ફોન કરી અન્ય આરોપીને બોલાવતાં અશ્ર્વિન કુગશીયા ધસી આવ્યો હતો અને તેણે પેમેન્ટ તાત્કાલીક કરી દેજો. નહીંતર ખાલી મારું નામ જ કાફી છે તેમ કહી ધમકી આપી હતી અને બન્નેએ માર મારી તેનો શર્ટ ફાડી નાખ્યો હતો. બાદમાં ક્રેડીટ કાર્ડના પૈસા નહીં આપો તો જાનથી મારી નાખશી તેવી ધમકી આપી હતી. ઉપરાંત આ બાબતે પોલીસમાં ફરિયાદ કરશો તો અમારા વિરૂધ્ધ એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરવાની ધમકી આપી હતી.આ અંગે ફરિયાદીએ પ્ર.નગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે બન્ને શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ગુજરાત
સાયપર ગામે પ્રાથમિક શાળામાં પાઈપલાઈન રીપેર કરતાં ભડકો થયો: વિદ્યાર્થી-શિક્ષક દાઝયા
શિક્ષક લાકડું અને કપડુંસળગાવી પાઈપ જોડતા હતા ત્યારે બનાવ: વિદ્યાર્થી પણ ઝપટે ચડયો
રાજકોટની ભાગોળે કુવાડવા નજીક આવેલા સાયપર ગામે પ્રાથમિક શાળામાં પાઈપલાઈન રીપેર કરતી વેળાએ ભડકો થતાં એક વિદ્યાર્થી અને શિક્ષક દાઝી ગયા હતાં. જેથી બન્નેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. શાળામાં પાઈપલાઈન તુટી ગઈ હોવાથી શિક્ષક લાકડુ અને કપડુ સળગાવી પાઈપ લાઈન જોડતાં હતાં ત્યારે અચાનક ભડકો થયો હતો જેમાં વિદ્યાર્થી પણ ઝપટે ચડી ગયો હતો.
જાણવા મળતી વિગત મુજબ, મોરબી રોડ પર રામાણી પાર્ક શેરી નં.3માં રહેતા અને સાયપર ગામે આવેલી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતાં દિલીપભાઈ મગનભાઈ પંચાલ (ઉ.48) આજે સવારે સાયપર ગામે પ્રાથમિક શાળામાં પોતાની ફરજ પર હતાં ત્યારે શાળામાં પાણીની પાઈપલાઈન તુટી ગઈ હોવાથી રિપેર કરતાં હતાં. ત્યારે કપડુ અને લાકડામાં સેનેટાઈઝર નાખી તેને સળગાવી પાઈપ લાઈન જોડતાં હતાં દરમિયાન અચાનક ભડકો થયો હતો જેમાં શિક્ષક દિલીપભાઈ અને તેની બાજુમાં ઉભેલો ધો.7માં અભ્યાસ કરતો આદર્શ કિશોરભાઈ પરમાર નામનો છાત્ર પણ ઝપટે ચડી જતાં બન્ને ગંભીર રીતે દાઝી ગયા હતાં. જેથી બન્નેને દાઝી ગયેલી હાલતમાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.
વધુ તપાસમાં ધો.7માં અભ્યાસ કરતો આદર્શ શિક્ષક દિલીપભાઈ પાઈપ લાઈન કરતાં હતાં ત્યાં નજીક જઈને ુઉભો હતો ત્યારે શિક્ષકે તેને દૂર કરવાનુ કહ્યું હતું. આમ છતાં તે દૂર ન જતાં આગની ઝપેટમાં આવી ગયો હતો. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી કુવાડવા પોલીસને જાણ કરતાં પોલીસે હોસ્પિટલે દોડી જઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
-
રાષ્ટ્રીય2 days ago
બજાજ હાઉસિંગ ફાઈનાન્સનો શેર આજે ઘટ્યો, જાણો કિંમત
-
ગુજરાત2 days ago
જવાહર ચાવડા હવે ભાજપ સામે લડી લેવાના મૂડમાં, બીજા પત્રો વાઈરલ કર્યા
-
રાષ્ટ્રીય2 days ago
‘વન નેશન-વન ઇલેક્શન’ના પ્રસ્તાવને લીલી ઝંડી, મોદી સરકારની કેબિનેટે આપી મંજૂરી
-
કચ્છ2 days ago
રાપરના ગાગોદરમાં પાણીના ખાડામાં સાત બાળકો ડૂબ્યાં, ભાઈ-બહેનનાં મોત
-
રાષ્ટ્રીય14 hours ago
ઓફિસના વર્કલોડે લીધો CAનો જીવ! માતાનો ભાવુક પત્ર વાંચીને કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય
-
કચ્છ2 days ago
કચ્છના ફેમસ જોકીનો મુંબઇમાં આપઘાત
-
ગુજરાત2 days ago
આજી-4 ડેમના પૂરથી પ્રભાવિત ખેડૂતો સરકાર સામે મોરચો માંડશે
-
આંતરરાષ્ટ્રીય2 days ago
ઈન્ટરનેટ કે મોબાઈલ નેટવર્ક ન હોવા છતાં પેજરમાં વિસ્ફોટ, મોબાઈલ ફોનમાં આવું થાય તો કરોડો લોકો પર ખતરો