માંગરોળના ચંદવાણા ગામ પાસે 2 બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા એક વૃધ્ધનું મૃત્યુ નિપજ્યું હતું અને 1ને ઇજા પહોંચી હતી. પ્રભુદાસભાઈ વલ્લભભાઈ કાલરીયા (ઉં.વ. 70) તેમના સંબંધી જેન્તીભાઈ બધાભાઈ ચુડાસમા સાથે જીજે 11 એઇ 5038 નંબરના બાઈક પર ચંદવાણાથી નગીચાણા કેસુડાના ફૂલ લેવા જઈ રહ્યા હતા.
આ દરમિયાન માંગરોળ તાલુકાના ચંદવાણા ગામથી નગીચાણા તરફ જતા રસ્તા પર આવેલ ખીમજીભાઈની વાડી પાસે સામેથી આવી પુરઝડપે રહેલા જીજે 11 બીએમ 5772ના ચાલક ચંદવાણા ગામના નીલેશ નરસિંહભાઈ પરમારે પોતાના બાઈકની પ્રભુદાસભાઈની બાઈકને જોરદાર ટક્કર મારી હતી.
અકસ્માતમાં પ્રભુદાસભાઈ તથા જેન્તીભાઇને ઈજા થતાં તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે કેશોદની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. વધુ ગંભી ગંભીર ઇજા થવાથી પ્રભુદાસભાઈને વધુ સારવાર માટે એમ્બ્યુલન્સમાં લઈ જવામાં આવી રહ્યા હતા, ત્યારે રસ્તામાં જ તેમનું પ્રાણપંખેરું ઉડી ગયું હતું. શીલ પોલીસે મૃતકના ભાઈ શશીકાંતભાઈની ફરિયાદ લઈ બાઇક ચાલક નીલેશ પરમાર વિરુદ્ધ કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી હતી. આ ઘટનાથી કાલરીયા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
