શહેરના મવડી પાળ રોડ પર ગોલ ટ્વીન બિલ્ડિંગ સામે બે દિવસથી લાપત્તા કારખાનેદાર તુષારભાઈ કેશવલાલ જાલાવડીયા (ઉ.વ.40, રહે. પાટીદાર ચોક, ઓપેરા હાઈટ્સ ફ્લેટ નં.901)નો તેની જ કારમાંથી મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઇ છે. વધુ વિગતો મુજબ,પાટીદાર ચોક પાસે કોપર હાઇટ્સ ફ્લેટ નં.901માં રહેતા અને ગોંડલ ચોકડી પાસે! કારખાનુંધરાવતા તુષારભાઇબે દિવસ પહેલાં પોતાની કાર લઈને કારખાને ગયા હતા.
ત્યારબાદ તે પરત ન આવતા પરિવારજનોએ તેની શોધખોળ હાથ ધરી હતી. શોધખોળ દરમિયાન તેના મોટાભાઈને મવડીપાળ રોડ પર ગોલ ટ્વીન બિલ્ડિંગ સામે નાનાભાઈની કાર જોવા મળી હતી. તેઓ કાર પાસે જતા દુર્ગંધ આવતી હોવાથી તેણે કાચ તોડતા નાનાભાઈને લોહીની ઉલ્ટી કરેલી હાલતમાં જોતા તુરંત જ 108ને જાણ કરી હતી.
108ની ટીમે સ્થળ પર પહોંચી તપાસ કરતા તેનું મૃત્યુ નિપજ્યું હોવાનું જાહેર કર્યું હતું.
તાલુકા પોલીસને જાણ થતા હેડ કોન્સ્ટેબલ કિશનભાઈ અજાગીયા સહિતનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને તુષારભાઈના મૃતદેહને તેમનાં મૃત્યુ પાછળનું કારણ જાણવા માટે પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.મૃતક બે ભાઈ અને બે બહેનમાં નાના હતા. તેમના પત્ની હાલ રિસામણે છે અને તેમનું લિવર ફેઈલ થઈ ગયું હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળતા હાલમાં મૃત્યુનું કારણ જાણવા વિસેરા લેવાયા છે. પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવતાં પરિવારમાં શોકની લાગણી છવાઇ છે
