રેલનગરનો યુવાન અને ગાંધીગ્રામના પ્રૌઢાનું હાર્ટએટેકથી મોત
રાજકોટ સહિત રાજ્યભરમાં હદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ દરરોજ અનેક માનવ જિંદગી કાળના ખપ્પરમાં હોમાઈ રહી છે ત્યારે વધુ બે બનાવમાં રેલનગર વિસ્તારમાં રહેતા યુવક અને ગાંધીગ્રામમાં રહેતા પ્રૌઢાનું હૃદય બેસી જતા મોત નીપજ્યું હતું.
જાણવા મળતી વિગત મુજબ રેલનગર વિસ્તારમાં સાધુ વાસવાણી કુંજ રોડ પર આવેલ મેરી ગોલ્ડ હાઇટ્સમાં રહેતા જયદીપભાઇ રણજીતસિંહ સિંધવ નામનો 35 વર્ષનો યુવાન પોતાના ઘરે હતો ત્યારે બપોરના અઢી વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતો. ત્યારે શ્વાસ ચડતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં યુવકની સારવાર કારગત નિવડે તે પૂર્વે ફરજ પરના તબીબે જોઈ તપાસી યુવકનું હૃદયરોગના હુમલાથી મોત નીપજ્યું હોવાનું જાહેર કરતાં પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી.
જયારે બીજા બનાવમાં ગાંધીગ્રામમા લાખના બંગલા પાસે અક્ષરનગર મેઇન રોડ પર રહેતા રમાબેન કીરીટભાઇ મહેતા (ઉ.વ.57)નામના પ્રૌઢા પોતાના ઘરે બેભાન થઇ જતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ પરના તીબીબે હાર્ટએટેકથી મરણ ગયાનુ જાહેર કર્યુ હતું. પ્રાથમિક તપાસમાં પ્રૌઢાને સંતાનમાં એક પુત્ર હોવાનુ અને પતિ કારખાનેદાર હોવાનુ જાણવા મળ્યું છે.
રિધ્ધિ સિધ્ધિ સોસાયટીમાં યુવાને જાતે ઇન્જેકશન લગાવ્યું
રિદ્ધિ સિદ્ધિ સોસાયટીમાં રહેતા દક્ષભાઈ મનીષભાઈ ખેતાણી નામનો 27 વર્ષનો યુવાન પોતાના ઘરે હતો ત્યારે રાત્રિના સાડા આઠેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતો. ત્યારે પોતાની જાતે ઇન્જેક્શન મારી દીધું હતું યુવકને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં દક્ષ ખેતાણી માનસિક બીમારીમાં સપડાયો છે જેના કારણે તેણે કોઈ ઇન્જેક્શન પોતાની જાતે મારી દીધું હોવાનું જાણવા મળ્યું છે ઉપરોક્ત બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
