ધ્રાંગધ્રા તાલુકાના જીવા ગામેથી એક અત્યંત હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. સરકારી ભરતીમાં જોડાઈને દેશસેવા કરવાનું સપનું જોતા એક ક્ષત્રિય યુવાનનું વહેલી સવારે દોડવાની પ્રેક્ટિસ દરમિયાન અકસ્માતમાં મોત નિપજ્યું છે. ધ્રાંગધ્રાના જીવા ગામે રહેતા યુવરાજસિંહ સુખદેવસિંહ ઝાલા ઉ.21 નામના યુવાન પોલીસ ભરતી માટે રોજ સવારે જીવા રોડ પર દોડવાની પ્રેકટીસ કરતાં હતા.
નિત્ય ક્રમ મુજબ સવારે દોડવા માટે વહેલી સવારે ઘરેથી નીકળી રોડ પર દોડી રહ્યા હતા. ત્યારે કોઈ અજાણ્યા વાહને હડફેટે લેતા યુવાન ગંભીર રીતે ઈજા ગ્રસ્ત થતા દવાખાનામાં ધ્રાંગધ્રા ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.જ્યાં ફરજ પરના ડોકટરે મૃત જાહેર કરવામાં આવતા ધરે શોકનો માહોલ છવાઈ ગયો હતો. આશાસ્પદ ક્ષત્રીય સમાજના યુવાન ના મોતના સમાચાર મળતા મોટી સંખ્યામાં ક્ષત્રીય સમાજના આગેવાન અને લોકો દવાખાનામાં દોડી ગયા હતા. ઈન્દ્રજીતસિહ જાડેજાએ જણાવ્યું કે, યુવાન રોજ પોલીસ અને અન્ય ભરતી માટેની તૈયારી કરી રહ્યા હતા.
