જાફરાબાદના દરિયામાં હજુ 70 બોટ ફસાયેલી: રેસ્કયુ માટે 4 હેલિકોપ્ટર, NDRFની ટીમ સ્ટેન્ડ બાય

ગઇકાલે ત્રણ બોટ ડુબ્યા બાદ 17નું રેસક્યુ, 11 ખલાસી લાપતા, દરિયો શાંત થતા જ રેસ્ક્યુ ઓપરેશન ચાલુ કરાશે: પરિસ્થિતિનો તાગ મેળવતા મુખ્યમંત્રી ધોધમાર વરસાદના પગલે…

ગઇકાલે ત્રણ બોટ ડુબ્યા બાદ 17નું રેસક્યુ, 11 ખલાસી લાપતા, દરિયો શાંત થતા જ રેસ્ક્યુ ઓપરેશન ચાલુ કરાશે: પરિસ્થિતિનો તાગ મેળવતા મુખ્યમંત્રી

ધોધમાર વરસાદના પગલે સૌરાષ્ટ્રના દરિયા કિનારે ગંભીર પરિસ્થિતિ ઉભી થઇ છે. ગઇકાલે દરિયો તોફાની બનતા જાફરાબાદની બે અને રાજપરાની એક બોટ ડૂબી ગઇ હતી. જેમાં સવાર 28 માછીમારો પૈકી 17ને બચાવી લેવાયા છે. જોકે, હજી 11 માછીમારો લાપતા છે, જેમની શોધખોળ કરાઇ રહી છે. ધારાસભ્ય હિરા સોલંકી, જિલ્લા કલેક્ટર સહિત તંત્રના અધિકારીઓ અને માછીમાર આગેવાનો લાપતા લોકોની શોધખોળ માટે પ્રયત્ન કરી રહ્યા છે. જોકે, ગઇકાલ કરતા પણ આજે દરિયામાં વધુ કરંટ હોવાથી રેસ્ક્યૂ ઓપરેશન શક્ય નથી.
આ સમગ્ર ઘટનાને લઇને ધારાસભ્ય હિરા સોલંકીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને માહિતી આપી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, દરિયો વધુ તોફાની હોવાથી કોસ્ટગાર્ડ કે નેવી પણ દરિયામાં જઇ શકે એવી પરિસ્થિતિ નથી. જ્યારે હવામાન ખરાબ હોવાથી હેલિકોપ્ટર પણ ઉડી શકે એમ નથી. જ્યારે માછીમાર આગેવાનો જણાવી રહ્યા છે કે, અમારી 500થી 600 બોટો સુરક્ષિત કિનારે પહોંચી ગઇ છે. જોકે, હજી 60-70 બોટો દરિયામાં ફસાયેલી છે. એક બોટમાં આઠથી નવ લોકો સવાર છે. જેમાં કેટલીક બોટનો સંપર્ક થયો છે. જ્યારે ઘણી બોટનો સંપર્ક થઇ શક્યો નથી.

અમરેલી જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજે જણાવ્યું કે, ગઇકાલે ત્રણ બોટ જાફરાબાદના દરિયા કિનારે 18 નોટિકલ માઇલના અંતરે પલટી હતી. જેમાં બે જાફરાબાદ અને એક રાજપરાની બોટ હતી. કુલ 28 લોકો હતા જેમાંથી 17 લોકોના રેસ્ક્યૂ કરાયા છે, જ્યારે 11 લોકો હજુ મિસિંગ છે. કોસ્ટગાર્ડના વેસલ અને બે હોવરક્રાફ્ટ એના લોકેશન પર છે અને શોધી રહ્યા છે.

જિલ્લા કલેક્ટરે વધુમાં જણાવ્યું કે, હાલ વરસાદ ચાલુ છે અને દરિયામાં કરંટ છે એટલે હેલિકોપ્ટર ઉડી નથી શકતા. બે હેલિકોપ્ટર પોરબંદરથી અને બે હેલિકોપ્ટર દમણથી સ્ટેન્ડબાય છે, વાતાવરણ હળવું થતાં હેલિકોપ્ટર ઉડશે. અત્યારે બધી બોટોને બહાર આવવા સૂચના આપવામાં આવી છે. અત્યાર સુધી 212 બોટ દરિયા બહાર આવી ગઇ છે, બાકીની બોટો પણ ટુંક સમયમાં પરત આવી જશે, તમામ બોટ સાથે સંપર્ક થઇ ગયો છે. આ ઉપરાંત કોઇ રેસ્ક્યૂની પરિસ્થિતિ ઉભી થાય એના માટે રાજુલા અને જાફરાબાદમાં એક એનડીઆરએફની ટુકડીને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *